કૂતરાઓ માટે જીવી રેડી દેવા તૈયાર છે અમદાવાદની ઝંખના શાહ, સરકારી નોકરીને પાટું મારી શરૂ કર્યું અબોલ પશુ-પક્ષી માટે સેવાનું કામ

Lok Patrika
By Lok Patrika
Share this Article

જ્યારે બાળક બોલતા ન શીખ્યું હોય અને રડવા લાગે તો એની માતા જ સમજી શકે કે બાળકને શું વાંધો છે, કારણ કે માતાનો અને બાળકો સંબંધ એટલો આત્મીય છે. પરંતુ વિચારે કે અબોલ પશુને સમજવા કેટલા અઘરા થતાં હશે. છતાં પણ એક મહિલાએ છેલ્લા 20 વર્ષથી આ વસ્તુ સાબિત કરી બતાવી અને એમના ન બોલવા છતાં એમની વ્યથાને વાચા આપી છે. ન માત્ર એમને સમજ્યા છે પણ સાથે સાથે એમના પેટનો ખાડો પૂરવાનું કામ પણ કરે છે. સરકારી નોકરી છોડીને છેલ્લા 18-18 વર્ષથી આ લેડી પશુ-પક્ષીને ખાવા પીવાનું આપે છે, 135 જેટલા કુતરાને રોજ ખવડાવે છે અને બીજું પણ કંઈ કેટલું કરે છે. તો આવો જાણીએ આવી લેડી ઝંખના શાહને….

નામ એનું ઝંખના કે શાહ. અમદાવાદના વાસણા વિસ્તારમાં એમનું રહેવાનું. અભ્યાસમાં ઝંખનાએ બી. કોમ. (ઇંગલિશ મીડિયમ)માં કર્યું છે. ત્યારબાદ તેઓએ એમનજી.એસ.આર.ટી.સી. ની કન્ડક્ટરની સરકારી નોકરી લીધી, પરંતુ નાનપણથી જ તેમનો સેવાકીય જીવ હતો એટલે નોકરીમાં મન લાગ્યું નહીં. સતત મનમાં વિચાર આવ્યા કરતો કે કંઈક નવું કરવું છે. ત્યારબાદ શરૂઆત કરી અબોલ પશુ માટે કામ કરવાની અને એમનો સધિયારો બનવાની. એ શરૂઆત આજે તો પહાડ જેટલી વિશાળ બની ગઈ છે અને સતત 20 વર્ષથી પશુ-પક્ષીને ખાવા પીવાનું આપે છે અને બીમાર થાય તો તેમની સારવાર પણ પોતે જાતે જ કરાવે છે. આ કાર્ય માટે તેઓએ એમનજી.એસ.આર.ટી.સી. ની કન્ડક્ટરની સરકારી નોકરી પણ છોડી દીધી.

ત્યારબાદ ઝંખના શાહે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટનું સ્થાપના કરી અને સ્થાપક અને પ્રમુખલ તરીકે હાલમાં પણ ઝંખના શાહ ભૂમિકા ભજવી જ રહ્યા છે. દરરોજ 135 જેટલા કુતરાને ખવડાવે છે અને હવે તો બધાના ખસીકરણના ઓપરેશન પણ કરાવી લીધા છે. ઝંખના બેનના ઘરની વાત કરીએ તો બાલ્કનીમાં ચબુતરો છે અને ઘરની નીચે ગાય કુતરા માટે પાણીની ટાંકી બનાવી છે. આ કાર્ય એમના કુટુંબની સહાયતાથી એકલા હાથે જ કરી રહ્યાં છે એ ખરેખર ગૌરવ લીધા જેવી વાત છે. એમને અત્યાર સુધીમાં પ્રાણી ક્રૂરતા વિરુદ્ધ પોલીસ કેસ પણ કર્યા છે. ન માત્ર આ એક જ ટ્રસ્ટ પણ સાથે સાથે અમદાવાદમાં ઘણી બધી સંસ્થા જોડે તેઓ વોલેન્ટિયર તરીકે કામ પણ કરે છે. ઝંખના શાહ એ.ડબલ્યુ.બી.આઇ., પી.એફ.એ અને અમદાવાદ એસ.પી.સી.એ. ના કારોબારી મેમ્બર પણ છે.

કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ વિશે જો વાત કરવામાં આવે તો આ સંસ્થાનો ઉદ્દેશ રખડતા પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સેવા આપવાનો છે અને પશુ-પક્ષીઓની પીડા અને વેદના કેમ વધારેમાં વધારે ઘટાડી શકાય એવો છે. સંસ્થાની પ્રવૃતિ વિશે જો વાત કરવામાં આવે તો પશુ-પક્ષીઓની બચાવ કામગીરી, ઘાયલ અને બીમાર રખડતા પશુ-પક્ષીઓની બચાવ કામગીરી, વારે-તહેવાર અલગ અલગ કેમ્પ કરીને પશુઓને બચાવવા જેવી કામગીરી કરી રહ્યા છે. ઝંખના બેન જણાવે છે કે ઉત્તરાયણ પક્ષીઓ માટે કમનસીબ માનવસર્જિત સંકટ છે. કાચ પાયેલી દોરીથી હજારો પક્ષીઓ તેમની પાંખ કે અન્ય ભાગ પર ઇજા પામે છે. કેટલાક પક્ષીઓ કાયમ માટે અપંગ બને છે અથવા મૃત્યુ પામે છે. ત્યારે દર વર્ષે અમારા ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓને બચાવવા માટે સંસ્થા દ્વારા પક્ષી બચાવો કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

સાથે જ ઝંખના શાહ જણાવે છે કે ઉનાળામાં પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાનું વિતરણ પણ કરીએ છીએ. ઉનાળામાં આપણે પાણી વગર નથી રહી શકતા, તો આ અબોલ જીવોની હાલત કેવી થતી હશે, એની કલ્પના કરી જુઓ. પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી તેમનું જીવન બચાવવા માટે પણ ઝંખના શાહ તત્પર છે. દર વર્ષે ઉનાળા દરમિયાન તરસ્યા પશુ-પક્ષીઓને બચાવવા માટે સંસ્થા દ્વારા પાણી પીવાના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે એવું પણ ઝંખનાએ જણાવ્યું હતું.

એ જ રીતે ચકલી બચાવો અભિયાન પણ યોજવામાં આવે છે. દર વર્ષે લુપ્ત થઈ રહેલા નાના પક્ષીઓના સંરક્ષણ માટે સંસ્થા દ્વારા પક્ષીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. રીફલેક્ટીવ કોલર અભિયાનની પણ વાત કરીએ તો ચોમાસામાં અને શિયાળાની ઋતુમાં ઓછી દૃશ્યતાના કારણે પ્રાણીઓ તેમજ મનુષ્યોને માર્ગ અકસ્માતમાં થતી ઈજાઓ અને મૃત્યુ અટકાવવા માટે રીફલેક્ટીવ કોલર અભિયાન પણ સંસ્થા દ્વારા જ કરવામાં આવે છે. આ સિવાય વાત કરીએ તો દર વર્ષે ચોમાસા દરમિયાન, અબોલ જીવોને બચાવવા માટે સંસ્થા દ્વારા રીફલેક્ટીવ કોલરનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે.

તમને પણ મારી જેમ વિચાર આવતો હશે કે આખરે આટલું બધું કામ એકસાથે કરનાર આ સંસ્થાનું સ્વપ્ન કેવું હશે. તો આ વિશે વાત કરતાં ઝંખના શાહ કહે છે કે અસક્ષમ, કરોડરજ્જુ તૂટેલા, અંધ અને વૃદ્ધ પશુ-પક્ષીઓ જ્યાં તેઓ મુક્તપણે હરી ફરી શકે અને તેમનું બાકીનું જીવન શાંતિથી જીવી શકે, એવું કાયમી અભયારણ્ય બનાવવાનું અમારું સ્વપ્ન છે. સાથે જ, અબોલ જીવો માટે રાત્રિ એમ્બ્યુલન્સ શરૂ કરવી અને અબોલ જીવો માટે સ્મશાનગૃહ બનાવવું પણ આ સંસ્થાનું સ્વપ્ન છે.

સંસ્થાના દ્યેય અને હેતુ વિશે વાત કરતાં ઝંખના શાહ જણાવે છે કે અમે બસ એવું જ ઈચ્છીએ છીએ કે પશુ-પક્ષીઓ માટે ખોરાક આપવો, પશુ-પક્ષીઓની સારવાર, પશુ-પક્ષીઓને ખરીદવાને બદલે દત્તક લેવા માટે પ્રોત્સાહિત કરવું, રીફલેક્ટીવ કોલર અભિયાન, હડકવા વિરોધી રસીકરણ, વંધ્યીકરણ, પ્લાસ્ટીકના વપરાશનો વિરોધ કરવો, ચામડાની ચીજ-વસ્તુઓના વપરાશનો વિરોધ કરવો, પશુ-પક્ષીઓ પ્રત્યે ક્રૂરતા ઘટાડવા જાગૃતિ લાવવી, શાકાહારી ભોજનનો પ્રચાર પ્રસાર અને ફાયદાઓની જાણકારી, જનજાગૃતિ કાર્યક્રમો, 24 કલાક પશુ-પક્ષીઓ માટે હોસ્પિટલ સેવા અને 24 કલાક પશુઓ માટે મોબાઇલ ક્લિનિક સેવા કરીએ છીએ.

પશુ-પક્ષીઓની રક્ષા કાજે “જીવદયા અભિયાન’ ના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ રીતે આ સંસ્થા કાર્યરત છે. એમાં પણ જો કોરોના વખતની વાત કરીએ તો પશુઓ જાણતા નથી કે લોકડાઉન શું છે.તેઓ તેમની આવશ્યકતા સ્ટોક કરી શકતા નથી. તેઓ ભૂખ્યા છે. ત્યારે આ સંસ્થાએ પોતાના હૃદયને ખોલ્યું અને હાથને લંબાવ્યા. તેમના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા પણ કરી. પક્ષીઓ તો કોવિડ-19 ફેલાવતા નથી, તેઓ શર્ત વગરનો પ્રેમ ફેલાવે છે. આ પરિસ્થિતિમાં નિર્દોષ અબોલ જીવો માટે આ સંસ્થાએ વાસણા, નિકોલ, કાઠવાડા જીઆઈડીસી અને તેબલી જેવા વિવિધ સ્થળે પશુઓને ખવડાવવાની વ્યવસ્થા કરી હતી. આ રીતે ઝંખના શાહ પોતાની ટીમ સાથે અવિરત 20 વર્ષથી આવા અનેક કામો કરતા આવ્યા છે અને હજુ પણ તેમનું આ ભગીરથ કાર્ય અવિરત રહેશે.

ઝંખનાબેન જણાવે છે કે તેઓ હજી આગળ ઘણું કરવા ઈચ્છે છે પણ ફંડિંગના અભાવે કામ થઇ રહ્યું નથી. જયારે તેમને પૂછ્યું કે નજીકના ભવિષ્યમાં તમે કઈ કઈ કામગીરી કરવા ઈચ્છો છો તો તેમણે જણાવ્યું કે અમારે બધા શ્વાનો માટે નહીં પરંતુ સ્પાઈનલ ઇન્જરી ધરાવતા અને કોઈ ગંભીર બીમારી ધરાવતા પ્રાણીઓ માટે એક વ્યવસ્થિત શેલ્ટરની જરૂર છે અને તે માટે એક ચોક્કસ જગ્યાની પણ જ્યાં અમે તે પ્રાણીઓને રાખી અને દેખભાળ કરી શકીએ કેમ કે આવા ઘણા પ્રાણીઓ માર્ગ અકસ્માતમાં કે બીજી કોઈ રીતે શેલ્ટરના અભાવે મૃત્યુ પામે છે. બીજી વાત તેમણે એ કરી કે જો કોઈ દાતા તરફથી ઇકો જેવી ગાડી દાન આપવામાં આવે તો તેનો ઉપયોગ તેમની સંસ્થા દ્વારા પ્રાણીઓ માટેની રાત્રી એમ્બ્યુલન્સ તરીકે થઇ શકે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly