ભારત અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ તેનું દેવું ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, બેંકોએ અદાણી ગ્રુપને તેનું દેવું ઘટાડવા માટે કહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, ગૃપે પાંચ અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે અદાણી જૂથે આ માટે મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીની નિમણૂક કરી છે અને અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવી કંપનીઓના ટોચના અધિકારીઓનો સંપર્ક કર્યો.
આ સાથે કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ સાથે પણ વાતચીત થઈ છે. તે અબુ ધાબીના શેખ તહનુન બિન ઝાયેદ અલ નાહયાન અને સાર્વભૌમ સંપત્તિ ફંડ ADQ સાથે જોડાયેલા ભંડોળની પણ તપાસ કરી રહ્યા છે. એક સૂત્રએ જણાવ્યું કે જૂથે $10 બિલિયન એકત્ર કરવાની ચર્ચા કરી છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ આવતા વર્ષ સુધીમાં $1.8 થી 2.4 બિલિયન એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.
ફંડ એકત્ર કરવા અંગે ચર્ચા કરવા માટે કંપનીનું બોર્ડ 25 નવેમ્બરે મળશે. સૂત્રોએ જણાવ્યું કે આ અંગે ચર્ચા ચાલી રહી છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. અદાણી ગ્રુપ, મુબાદલા, ADQ અને ADIAએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંકોએ ડેટ રેશિયો સુધારવા માટે અદાણી ગ્રુપને દેવું ઘટાડવાનું કહ્યું છે.
આનાથી કંપનીના શેરમાં લિક્વિડિટી પણ વધશે. રિસર્ચ ફર્મ ક્રેડિટસાઇટ્સે સપ્ટેમ્બરમાં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપની કંપનીઓ પર વધુ દેવું છે. જો કે, અદાણી ગ્રુપે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેની કંપનીઓનો ડેટ રેશિયો ધોરણોને અનુરૂપ છે. મુકેશ અંબાણીએ વર્ષ 2020માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કેટલીક કંપનીઓમાં હિસ્સો વેચીને $27 બિલિયનથી વધુ એકત્ર કર્યા.