Cricket News: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે તેની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. પ્રથમ દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 257 બોલમાં 179 રન બનાવીને અણનમ રહ્યો હતો અને આર અશ્વિન 10 બોલમાં 5 રન બનાવીને અણનમ રહ્યો હતો. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા.
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ટીમની શરૂઆત સારી રહી ન હતી, રોહિત શર્મા 14 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલે એક છેડે સખત બેટિંગ ચાલુ રાખી પરંતુ બીજા છેડે નિયમિત અંતરે વિકેટો પડતી રહી.
શુભમન ગીલે 34 રન, શ્રેયસ અય્યરે 27, રજત પાટીદારે 32, અક્ષર પટેલે 27 અને કેએસ ભરતે 17 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ દિવસે શોએબ બશીર અને રેહાન અહેમદે 2-2 વિકેટ લીધી હતી જ્યારે ટોમ હાર્ટલી અને જેમ્સ એન્ડરસને એક-એક વિકેટ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ મેચમાં રજત પાટીદારે ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું જ્યારે મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો હતો. સિરાજની જગ્યાએ મુકેશ કુમારને અને રવિન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવને તક આપવામાં આવી છે. જાડેજા અને કેએલ રાહુલ અનફિટ હોવાના કારણે આ મેચનો ભાગ નથી. શોએબ બસીરે ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ કર્યું અને માર્ક વૂડની જગ્યાએ અનુભવી જેમ્સ એન્ડરસનને તક મળી.
હૈદરાબાદમાં 5 મેચોની સીરીઝની પ્રથમ મેચમાં ભારતને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો, તેથી ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ.
ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.