અનુપમા સીરિયલમાં સમર શાહનો રોલ કરીને ઘરે-ઘરે જાણીતા થયેલા એક્ટર પારસ કલાનવતને હાલમાં જ શોના મેકર્સે કાઢી મૂક્યો છે. પારસે કોન્ટ્રાક્ટનો ભંગ કરતાં શોના મેકર્સે તેનો કોન્ટ્રાક્ટ અધવચ્ચેથી જ પૂરો કરી નાખ્યો હતો. પારસે બીજી ચેનલ પર ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા ૧૦ સાઈન કરી દેતાં શોના મેકર્સ નારાજ થયા હતા. એટલે જ તેમણે તાત્કાલિક ધોરણે પારસનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો અને આ અંગેનું સ્ટેટમેન્ટ પણ મીડિયામાં આપ્યું હતું. પારસે આ સમગ્ર મુદ્દા પર પ્રકાશ પાડ્યો છે.
પારસે જણાવ્યું છે કે, તેના ર્નિણયથી પ્રોડ્યુસર રાજન શાહી ખુશ નહોતા. સાથે જ પિતાના નિધન પછી પણ કેટલી કપરી પરિસ્થિતિમાં ‘અનુપમા’ માટે શૂટિંગ કર્યું હતું તેનો પણ ખુલાસો કર્યો છે. “સાચું કહું તો ‘અનુપમા’ની સફર ખૂબ શાનદાર રહી હતી. એક્ટર તરીકે મારો ખાસ્સો વિકાસ થયો છે પણ સાચું કહું તો છેલ્લા એક વર્ષ કે તેનાથી વધુ સમયથી શોમાં મારા પાત્રનો ગ્રોથ અટકી ગયો હતો. ખરેખર કહું તો હું બંને શો ‘અનુપમા’ અને ‘ઝલક દિખલા જા’ એકસાથે કરવા માગતા હતો.
મને ખબર નહોતી કે ચેનલ અથવા રાજન શાહી સરને બીજી ચેનલ સામે એવો કંઈક વાંધો હશે કે તેઓ મને ‘અનુપમા’ની સાથે ‘ઝલક દિખલા જા’ નહીં કરવા દે. આ સીરિયલમાં મારો વિકાસ અટકી ગયો હતો અને મને લાગ્યું કે, ‘ઝલક..’ એવું માધ્યમ બની રહેશે જ્યાં મારો વ્યક્તિગત રીતે વિકાસ થશે અને મારી ઓળખ ઊભી કરી શકીશ. અત્યાર સુધી લોકો મને સમર શાહ તરીકે ઓળખતા હતા અને હવે કદાચ સમય પાકી ગયો છે કે તેઓ મને પારસ કલનાવત તરીકે ઓળખે”, તેમ એક્ટરે જણાવ્યું.
અનુપમાથી છૂટા પડવા અંગેના દુઃખ વિશે વાત કરતાં પારસે કહ્યું, “‘અનુપમા’ મારા માટે મહત્વપૂર્ણ શો સાબિત થયો છે અને સૌથી સારા મેકર્સ અને શ્રેષ્ઠ ટીમથી અલગ થવું મારા માટે દુઃખની વાત છે. તેઓ ખૂબ સારા અને ખરેખર દયાળુ લોકો છે. માર્કેટમાં અત્યારના સમયના સૌથી સારા પ્રોડ્યુસર છે. તેમનાથી અલગ થવાનો ર્નિણય લાંબા સમય સુધી વિચાર્યા પછી લેવો પડે તેવો છે પરંતુ એક ક્ષણ એવી આવી જ્યાં મારે પોતાના વિશે પણ વિચારવાનું હતું. મને અહેસાસ થયો કે શોમાં મારો વિકાસ અટકી ગયો છે. હું સારી તકની શોધમાં જ હતો. એટલે જ્યારે ‘ઝલક..’ની ઓફર આવી ત્યારે મેં સ્વીકારવાનું નક્કી કર્યું કારણકે આ એવી વસ્તુ છે જે મેં અગાઉ કરી નથી અને મને કંઈક નવું શીખવશે. ઉપરાંત મેં રિયાલિટી શોનું જાેનર પણ કદી કર્યું નથી.”