બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી તેમની ફિલ્મના શૂટિંગના સંબંધમાં શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં હાજર છે જ્યાં કેટલાક અજાણ્યા લોકોએ તેમના પર પથ્થરમારો શરૂ કર્યો. રિપોર્ટ અનુસાર પહેલગામથી થોડે દૂર શૂટિંગ પૂરું કર્યા બાદ ઈમરાન હાશમી જ્યારે પહેલગામના મુખ્ય બજારમાં ગયો ત્યારે તેના પર પથ્થરમારો શરૂ થઈ ગયો. ઈમરાન સાથે હાજર અન્ય લોકો પર પણ પથ્થરમારો થયો હતો. આ મામલામાં પહેલગામ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે પથ્થરમારો કરનારા લોકો સામે કલમ 147, 148, 370, 336, 323 લગાવી છે.
ઈમરાન હાશ્મી હાલમાં જમ્મુ-કાશ્મીરમાં તેની ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોનું શૂટિંગ કરી રહ્યો છે. ઈમરાન લગભગ 14 દિવસ શ્રીનગરમાં હતો. ઈમરાને શ્રીનગરની એસપી કોલેજમાં શૂટિંગ કર્યુ. અહેવાલ મુજબ જ્યારે ઈમરાન તેનું શૂટિંગ પૂરું કરીને બહાર નીકળ્યો ત્યારે તેણે રાહ જોઈ રહેલા પ્રશંસકો તરફ જોયું પણ નહીં જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક પ્રશંસકે વાતચીતમાં જણાવ્યું કે તે અભિનેતાને મળવા અને તેની સાથે ફોટો પડાવવા માટે ઉભો હતો. પરંતુ ઈમરાન હાશ્મીએ તેની તરફ જોયું પણ નહોતું.
પથ્થરમારાના આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેજસ દેઉસ્કર ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે સાઈ તામ્હંકર અને ઝોયા હુસૈન પણ જોવા મળશે. આ ફિલ્મ સિવાય ઈમરાન બીજી ઘણી ફિલ્મોમાં જોવા મળવાનો છે. તે અક્ષય કુમાર સાથે સેલ્ફી ફિલ્મમાં પણ જોવા મળશે. આ સિવાય ઈમરાન હાશ્મી સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3માં પણ મહત્વનો રોલ કરી રહ્યો છે.