કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ૧૩ દિવસથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. હવે તેમની હાલત સ્થિર છે અને તેઓ રિકવર થઈ રહ્યા છે. ડોક્ટરે હાલમાં જ જણાવ્યું હતું કે, તેઓ ઠીક થઈ જશે, પરંતુ થોડો સમય લાગશે. આ વચ્ચે પરિવાર અને ફેન્સ રાજુની સલામતી માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. રાજુને ચાહનારાઓનું લિસ્ટ લાંબું છે અને તેમાંથી જ એક ફેન તેમને મળવા માટે હોસ્પિટલમાં ઘૂસી ગયો હતો. એક રિપોર્ટ પ્રમાણે, હાલમાં જ એક અજાણ્યો વ્યક્તિ, જેણે પોતાને રાજુ શ્રીવાસ્તવનો ફેન ગણાવ્યો હતો તે તેમના રૂમમાં ઘૂસી ગયો હતો.
તે તેમની સાથે સેલ્ફી લેવા માગતો હતો. આ ઘટનાથી રાજુનો પરિવાર શોક્ડ અને ચિંતિત છે. આ સાથે જ તેમની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. તેમના રૂમ બહાર પણ સિક્યોરિટી ગાર્ડ્સ તૈનાત કરાયા હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ડોક્ટરોએ થોડા દિવસ પહેલા જ શ્રી વાસ્તવને જ્યાં એડમિટ કર્યા ત્યાં પરિવારને જવા દેવાનો ઈનકાર કર્યો હતો. કોમેડિયનની હાલત ગંભીર છે અને તેમને કોઈ પણ પ્રકારનો ચેપ લાગવાનો ખતરો છે, તેવામાં ડોક્ટરોએ પરિવારની મંજૂરી લઈને તમામની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજુના સંબંધીઓ પણ તેમની પાસે જઈ શકતા નથી.
તેવામાં અજાણ્યો શખ્સ તેમની પાસે પહોંચી જતાં પરિવારને ચિંતા થઈ હતી. રાજુ શ્રી વાસ્તવને ૧૦મી ઓગસ્ટે હાર્ટ અટેક આવ્યો હતો. તેઓ જ્યારે જિમમાં ટ્રેડમિલ પર દોડી રહ્યા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે જ દિવસે તેમની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. ત્યારથી તેઓ વેન્ટિલેટર પર છે. તેઓ હજી સુધી ભાનમાં આવ્યા નથી. ૧૮ ઓગસ્ટે તેમની તબિયત વધારે તબિયત થડી હતી.
ડોક્ટરોએ તે સમયે રાજુ શ્રીવાસ્તવનું હૃદય યોગ્ય રીતે કામ ન કરી રહ્યું હોવાનું કહ્યું હતું. જાે કે, ત્યારબાદ તેમની સ્થિતિમાં સુધારો થયો હતો. પરિવારે પણ તેમના સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ જાહેર કરીને ફેન્સને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા તેમજ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતાં રહેવાનું કહ્યું હતું. આ સોમવારે શેખર સુમને પણ રાજુની હેલ્થ વિશે અપડેટ આપતાં તેમના અંગ કામ કરી રહ્યા હોવાનું કહ્યું હતું.