Gujarat News: રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં અંદાજે 10 હજાર જેટલી જગ્યામાં રેગ્યુલર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવુ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જ્યાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી થઈ શકે છે. કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણા વિભાગ તેમજ ઉચ્ચકક્ષાએ ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષકો મળે રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ તો શિક્ષક અભિરૂચી કસોટીના માળખામાં મોટો ફેરફાર કરી દ્વિ-સ્તરીય પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ જણાય છે. ભરતી પ્રક્રિયાના મેરીટમાં માત્ર ટેટ-ટાટના જ માર્કસને ધ્યાનમાં લેવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે. જોકે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ અધિકારી જણાવવા તૈયાર નથી.
ટાટ-૧ અને ૨ આ બંન્ને પરીક્ષા દ્વિ-સ્તરીય પદ્ધતિ જ લેવામાં આવી. બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી એના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. તો હવે જ્ઞાન સહાયક યોજનાના લીધે સંચાલકો તેમજ શિક્ષણ આલમમા એવી ચર્ચા ઉઠી છે કે, સરકાર હવે આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે કે કેમ ?
સરકારમાં અનેક રજૂઆતો પહોંચી
આ મુદ્દે સરકારમાં પણ અનેક રજૂઆતો પહોચી છે. જેથી સરકાર દ્વારા અગાઉના શિક્ષણમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ૨૬૦૦ જેટલી જગ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની નિયામક કચેરીને મંજુરી અપાઈ હતી. પ્રાથમિકમાં મંજુરી અપાઈ છે, પરંતુ હજુ સુધી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની ભરતીને લઈ માગ ઉઠી હતી.
અંબાલાલ પટેલની મોટી આગાહી, આ દિવસોમાં માવઠું પડવાની શક્યતા, ભારે હિમ વર્ષા માટે પણ થઈ જાવ તૈયાર
શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરશે.