આશુતોષ મહેતા: રણકાંઠાની બંજર અને ઉજ્જડ જમીનમાં લિલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી ઘટના છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલણપુર ગામની વસ્તી 1400ની છે. જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા જ 8500થી વધુ છે. એટલે કે ગામમાં એક વ્યક્તિદીઠ વૃક્ષોની સંખ્યા છથી પણ વધારે છે. વધુમાં હાલ ગરમીનો પારો 43 ડીગ્રીએ છે ત્યારે રણકાંઠાની એક એવુ માલણપુર ગામ કે જ્યાં અન્ય ગામો કરતા બે ડીગ્રી તાપમાન ઓછું જોવા મળે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલણપુર ગામમાં પ્રવેશતા જ તળાવની પાળે, મંદિરના ફરતે કે રસ્તાની બન્ને બાજુ લિલાછમ્મ હવા સાથે વાતો કરતા ગગનચુંબી વૃક્ષો લહેરાતા જોવા મળે. માલણપુર ગામેં વનવિભાગ અને ગ્રામજનોના સહિયારા પ્રયાસ થકી ગામમાં આવેલા તળાવની પાળે લિંબડા, પેલ્ટ્રાફોમ, નિલગીરી, ગુલમહોર, ઉંમરા, વડ, સરૂ અને કળજી મળી 6400 વૃક્ષો, ગામમાં આવેલા બુટભવાની માતાનાં મંદિરના ફરતે 1100 વૃક્ષો, માલણપુરનાં મુખ્ય રસ્તાની બન્ને બાજુ પાંજરાવાળા 500 વૃક્ષો અને અન્ય 500 વૃક્ષો મળી ગામમાં 1400ની વસ્તી સામેં 8500 વૃક્ષો એટલે ગામની એક વ્યક્તિદીઠ 6થી વધારે વૃક્ષો છે.
માલણપુર ગ્રામજનોએ અંદાજે દોઢ લાખના ખર્ચે બોરમાંથી રોડ સુધી પાઇપલાઇન નાખી ગ્રામજનો અને વનવિભાગના સહિયારા પ્રયાસથી હાથમાં ગામના ફરતે ચારે દિશામાં હવા સાથે વાતો કરતા વૃક્ષો લહેરાતા નજરે પડે છે. આ સિવાય ગામની મહિલાઓ સહિત તમામ ગ્રામજનો દ્વારા દર રવિવારે દલિત વિસ્તાર સહિત ગામના તમામ વિસ્તારમાં સઘન સફાઇ પણ કરવામાં આવે છે. માલણપુરનાં ગ્રામજનો દ્વારા લોકફાળો કરી સમગ્ર ગામને અંદાજે 2 લાખના ખર્ચે 28 સીસીટીવી કેમેરા વડે આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયુ છે. અને આગામી દિવસોમાં આખા ગામને વાઇફાઇ સુવિધાથી સજ્જ કરવાની પણ તજવીજ હાથ ધરાઇ છે. ગામમાં 100 % શૌચાલયની સુવિધાથી સજ્જ એવા માલણપુરમાં આઝાદી બાદથી માત્ર એક જ વખત ચુંટણી યોજાઇ છે. વધુમાં હાલમાં આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ તાપમાં ગરમીનો પારો 43 ડીગ્રીએ છે, ત્યારે રણકાંઠાની એક એવુ માલણપુર ગામ કે જ્યાં અન્ય ગામો કરતા બે ડીગ્રી તાપમાન ઓછું જોવા મળે છે.
માલણપુર ગામેં વર્ષોથી વડવાઓ દ્વારા કૂતરા માટે, પાણીની પરબ માટે અને ગાયોના ઘાસચારા માટે અલગ અલગ ખેતરો ફાળવેલા છે. એ ખેતરોમાંથી જે આવક થાય એ ગાયો, કૂતરા અને પાણીની પરબ માટે જ વાપરવામાં આવે છે. વધુમાં માલણપુર ગામે તાલુકામાં સૌથી વધારે અંદાજે દોઢસોથી વધારે વિઘા ગૌચરની જમીન છે. અને ગ્રામજનોએ અંદાજે રૂ. 2 લાખના ખર્ચે ગામમાં સુંદર મજાનો બગીચો પણ બનાવ્યો છે.
માલણપુર ગામમાં તળાવની પાળ, મંદિરની ફરતે અને રોડની બન્ને બાજુ મળી અંદાજે 8500થી વધુ વૃક્ષો લહેરાય છે. એમાય રોડની બન્ને બાજુ પાંજરાવાળા છોડ અને વૃક્ષોમાં ચકલા લગાવેલા છે. ગ્રામજનોના સુંદર સાથ સહકાર થકી ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ હાલમાં ગામમાં ચારે બાજુ હરીયાળી પથરાઇ છે.