ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નેજા હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદની દાયકાથી વધુના લાંબા સમય બાદ હોદ્દેદારોની ચૂંટણી યોજાવાની છે. એમ તો લોધા સમિતિની ભલામણો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને લઈને વાસ્તવિક ચૂંટણી યોજાય તો ખાસ્સા ફેરફાર કરવા પડે એમ છે પરંતુ આવું કઈજ થાય એવી કોઈ શક્યતા લાગતી નથી. આમેય ભારતીય ક્રિકેટ બોર્ડના સંચાલનમાં જ જ્યારે લોધા સમિતિની ભલામણોની ઉપેક્ષા થતી હોય તો અમદાવાદમાં તેનું સન્માન જળવાય એવા કોઈ સંકેત દેખાતા નથી. આ જાેતા આ ચૂંટણી ઔપચારિક બની રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
લોધા સમિતિની ભલામણો મુજબ જેતે બોર્ડની ચૂંટણી દર ત્રણ વર્ષ કરવી જરૂરી છે. કોઈપણ હોદ્દેદારો સતત નવ વર્ષથી વધારે કોઈ પણ હોદ્દા પર રહી શકે નહીં. એમાંય સતત છ વર્ષ માટે જ, એટલે કે બે ટર્મ સુધી તે સત્તા પર રહી શકે, જ્યારે વધારે ત્રણ વર્ષ તેને કુલિંગ પિરિયડ પર રહેવું પડે. સમગ્રતઃ તેઓ નવ વર્ષ સુધી કોઈ પણ હોદ્દો ભોગવી શકે. જાેકે, અમદવાદ બોર્ડના કિસ્સામાં સુપ્રીમના નિર્દેશોનું પોતાની રીતે અર્થઘટન કરીને લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતા સ્થાપિત હિતોને હોદ્દા પર જાળવી રાખવામાં આવ્યા છે.
હાલમાં સીબીસીએના પ્રમુખ પદે રાજેશ પટેલ, ઉપ-પ્રમુખ પદે દેવેન્દ્ર સિંહ સોલંકી, ટ્રેઝર તરીકે સુરૂ શાહ, સેક્રેટરી તરીકે અનિલ પટેલ, જાેઈન્ટ સેક્રેટરી રશીદ શેખ મુખ્ય છે. જ્યારે આમાં કેટલાક હોદ્દેદારો તો ૭૦ વર્ષની વય વટાવી ચૂક્યા છે. લોધા સમિતિની ભલામણો મુજબ બીસીસીઆઈ હેઠળના કોઈ પણ એકમમાં ૭૦ વર્ષથી વધુના હોદ્દેદારોને સ્થાન ન આપવા કહેવાયું છે. જાેવાનું એ રહે છે કે હજુ પણ આ વગ ધરાવનારાઓને હોદ્દો પાછો મળે છે કે પછી નવોદિતોને તક અપાય છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે લોધા સમિતિના અનુસાર બોર્ડમાં હોદ્દા ધરાવનારા કોઈ પણ અન્ય કોઈ રમતના સંગઠનમાં હોદ્દો ધરાવતો હોવો ન જાેઈએ.
આ બાબતનું પણ ધ્યાન રખાય એવી ક્રિકેટ પ્રેમીઓને અપેક્ષા છે. ખાસ નોંધવું રહ્યું કે પરિમલ નથવાણી એક સમયે ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વાઈસ પ્રેસિડન્ટ હતા અને જીસીએમાં હોદ્દાના નવ વર્ષ પૂરા થતા તેમણે હોદ્દો છોડ્યો અને તેમના સ્થાને તેમના પુત્ર ધનરાજ નથવાણીને બેસાડવામાં આવ્યા હતા. ધનરાજ નથવાણી જેતે સમયે ગુજરાત ફૂટબોલ એસોસિએશનમાં હોદ્દો ધરાવતા હતા પણ તેમણે તરત એ હોદ્દો છોડી દેવો પડ્યો હતો.
અત્યંત આધારભૂત સુત્રોના અનુસાર સીબીએસએની આ ચૂંટણી ભલે ઔપચારિક બની રહે એમ લાગતી હોય પરંતુ એમાં સામાન્ય ફેરફારની પૂરી શક્યતા છે. ખાસ કરીને પ્રમુખ અને એકાદ અન્ય હોદ્દેદાર બદલાય એવી શક્યતા છે. જાેકે, અન્ય એક સુત્રના અનુસાર ફેરફાર પણ કાયદાઓના કહેવાતા સન્માન જાળવવા પુરતા હશે કેમકે જે ફેરફાર કરાશે એમાં કોઈ નવાને બદલે જુના જાેગીઓ અથવા હોદ્દેદારોના સગા-સબંધીઓને તક અપાય એવી શક્યતા વધુ છે.