સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ઊભો પાક પલડી ગયો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આ માવઠામાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. રાજ્યના મુખ્યપ્રધાન જાપાનની મુલાકાતે ગયા છે. પણ માવઠાની સ્થિતિની સમીક્ષા કરીને સર્વે માટેના આદેશ સરકારે આપી દીધા છે.
રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે સર્વેના આદેશ કરી દેતા ટીમ કામે લાગી ચૂકી છે. ટૂંક સમયમાં જ આ કામગીરી કરી દેવામાં આવશે. માઠવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે પાકનો નાશ થઈ ગયો હતો. ખાસ કરીને લીલી પોંક અને પાપડીને મોટું નુકસાન થયું હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે. જગતના તાતને ફરી કુદરતની માર વેઠવાનો વારો આવ્યો છે. એરંડા, શેરડી, ઘઉં, ધાણા અને જીરૂ પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. જોકે, એક વાત તો નક્કી છે કે, આગામી દિવસોમાં આ પાકમાં મોટો ભાવ વધારો જોવા મળી શકે છે.
માવઠાને કારણે કુલ 20 થી વધારે લોકોના મોત નીપજ્યા છે. મહેસાણા, કડી, કલોલ, જાફરાબાદ, બોટાદ તથા બરવાડામાં વીજમાર પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ખેતરમાં પાણી ભરાઈ જવાન ઘટના બની છે. જોકે, સરકારી સહાયમાં ક્યાં કેટલું મળે છે એના પર ખેડૂતોની નજર હાલ તો રહેલી છે. માવઠાને કારણે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જે ખેતિ માટે નુકસાન કારક હોવાનું માનવામાં આવી રહ્યો છે. જોકે, વરસાદને કારણે સમગ્ર રાજ્યના તાપમાનમાં નવથી દસ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. વરસાદથી ટાઢક તો થઈ ચૂકી છે પણ મુશ્કેલી ખેડૂતોના પાકને થઈ છે. જેના કારણે રાજ્યનો ખેડૂત વર્ગ ફરી આર્થિંક ભીંસમાં ન પડીએ એવી ભીતિ સેવી રહ્યો છે.