અમદાવાદમાં થયેલા મેઘ આક્રમણને પગલે ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. રોડ અને સોસાયટીઓમાં પાણી ભરાતા કાર, બાઇક સહિતના વાહનો પાણીમાં ગળાડૂબ બન્યા હોવાના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈને વાહનોમાં મોટા પાયે નુકસાન થયું હતું. ત્યારે હાલ વરસાદી પાણી સુકાતા વાહન રિપેરિંગ માટે માલિકો ગેરેજ પર દોટ લગાવી રહ્યા છે. આથી ગેરેજ બહાર વાહનોના થપ્પા જાેવા મળી રહ્યા છે. ગેરેજ સંચાલકોને જાણે સીઝન પૂરબહારમાં ખીલી હોય તેમ લાંબુ વેઇટિંગ જાેવા મળી રહ્યું છે.
અમદાવાદમાં ભારે વરસાદને કારણે મોટું નુકસાન થયું છે. વરસાદ બંધ થયાના ૩૬ કલાક પછી પણ પાણી યથાવત રહ્યું હોવાનું સામે આવ્યું છે. ઘરમાં લાઇટ ન હોવા ઉપરાંત શહેરના ધરણીધરના ટેમ્પલ એવન્યુના બેઝમેન્ટમાં પાણી યથાવત હોવાથી તંત્ર તરફથી મદદ નહી મળતા હવે સ્થાનિકો જાતે જ પાણીનો નિકાલ કરી રહ્યા છે. વધુમાં વેજલપુરના શાંતિ સદન કોમ્પલેક્ષમાં દુકાનદારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
નોંધનીય છે કે, વરસાદમાં રોડ બેસી જતા બેઝમેન્ટ તૂટી પડ્યું હતું. દુકાન ચલાવી ગુજરાન કરતા દુકાનદારને લાખોનું નુકસાન થયું હતું. તો સોસાયટીઓમાં પાણી ભરાતા અનેક કાર પાણીમાં ડૂબી ગઈ હતી. જેથી કારના એન્જિનમાં પાણી ઘૂસતા મોટુ નુક્સાન થયું હતું. ઉપરાંત મેઘતાંડવને પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા અનેક વાહનોચાલકોના બાઇક અધ્ધવચ્ચે બંધ થયા હતા જેને લઈને લોકોને ધક્કા મારવાની નોબત આવી હતી. આમ વરસાદને લઈને લોકોને હેરાનગતિનો કોઇ પર રહ્યો ન હતો.
ત્યારબાદ હાલ પાણીની સ્થિતિ ઠાળે પડતાં શહેરમાં ગેરેજમાં વાહન સર્વિસ માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ફ્લેટના બેઝમેંટમાં વાહનો પાણીમાં ડૂબતા ભારે નુકસાન થયું હતું. જે તમામ સર્વિસ અર્થે આવતા ગેરેજ સંચાલકોને તગડી કમાણી થઇ રહી છે. આથી ગેરેજ સંચાલકોને દિવાળી જેવો માહોલ જામ્યો છે.