Gujarat News: અમદાવાદથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે શહેરમાં ઘાટલોડિયામાં કેલોરેક્ષ સ્કૂલમાં નમાઝ અદા કરવા મામલે એબીવીપીના કાર્યકરો અને હિન્દુ સંગઠનોએ હોબાળો કર્યો હતો. પ્રિન્સિપાલ ઓફિસમાં બેસી હનુમાન ચાલીસા કરી હતી અને રામધૂન બોલાવી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. સ્કૂલે સ્કૂલના લેટરપેડ પર લેખિતમાં માફી માગી લીધી હોવાથી મામલો શાંત પણ પડી ગયો છે.
શાળાએ કહ્યું કે નમાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાલીઓની રજૂઆત બાદ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. કેલોરેક્ષ સ્કૂલ ભવિષ્યાં આવી ભૂલ કરશે નહીં. જોકે મામલો બગડ્યો હતો અને ટોળાએ ‘જય શ્રીરામ’ના નારા બોલી મ્યુઝિક શિક્ષકને દોડાવી દોડાવીને માર માર્યો હતો. ઘાટલોડિયા પીઆઈ અને પોલીસની ટીમે સ્કૂલે પહોંચી તપાસ હાથ ધરી છે.
માફીનામું
‘સવિનય જય ભારત સાથે જણાવવાનું કે, તા.29/09/2023ને શુક્રવારના રોજ અમારી કેલોરેક્ષ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમમાં અમારી સ્કૂલ દ્વારા નમાજનો જાહેર કાર્યક્રમ હતો જેમાં વિદ્યાર્થીઓને નમાજની પદ્ધતિ એક વિદ્યાર્થી દ્વારા કરાવી અને શીખવવામાં આવી. જે બાબત હિન્દુ સંગઠનો અને વાલીઓના ધ્યાને આવતા તા.3 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનો (AHP), રાષ્ટ્રીય બજરંગ દળ (RBD), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘાટલોડિયા જિલ્લાના પદાધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લઈને આ વિષયે સ્કૂલના વ્યવસ્થાપક સાથે વાત કરી અને તેઓને ગંભીરતા અને ભૂલ જણાતાં અમે આ પત્ર દ્વારા માફી માગીએ છીએ અને ફરી આવી ભૂલ ન થાય તેની કાળજી રાખીશું. તેવી બાંયધરી આપીએ છીએ. આ સાથે સ્કૂલના તમામ વાલીઓની અમે માફી માગીએ છીએ.’
જ્યારે આ મામલો વધારે બગડ્યો ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે સ્કૂલને કારણદર્શક નોટિસ પાઠવી છે. જેમાં જણાવ્યું છે કે, આપની શાળાનો આજરોજ વાઈરલ થયેલ વીડિયોમાં જે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતો હોઈ બાળકોના માનસ પર વિપરિત અસર થઈ શકે છે. જે બદલ આપ શું કહેવા માગો છો? તે અંગેનો લેખિત ખુલાસો આપવામાં આવે.
તો વળી આ તરફ અમદાવાદની કેલોરેક્ષ સ્કૂલ વિવાદ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, ધાર્મિક શિક્ષણ પર નહીં પરંતુ હકીકતમાં જે શિક્ષણ આપવાનું હોય તેના પર ધ્યાન આપો. ડીઈઓ સાથે ચર્ચા કરી છે કે, જે કાર્યવાહી કરવાની થાય એ કરો.