હાલમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે, હવે વેકેશન પડશે અને પછી નવા એડમિશનની પ્રોસેસ શરૂ થશે, ત્યારે અત્યાર સુધી એવો નિયમ હતો કે બાળક 5 વર્ષનું થાય એટલે પહેલા ધોરણમાંમાં એડમિશન મળી જશે. પરંતુ હવે ભારત સરકારની નવી શિક્ષણનીતિમાં એવો ફેરફાર આવ્યો છે કે બાળક 6 વર્ષનું થાય પછી જ પહેલા ધોરણમાં એડમિશન આપવામાં આવશે.
ગુજરાતીઓ માટે પણ હવે અગત્યનું છે કે ગુજરાતમાં આ નીતિનો અમલ તો શરૂ કરી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે બાળક ત્રણ વર્ષનું થાય એટલે લોઅર કેજી, ચાર વર્ષનું થાય એટલે હાયર કેજી અને પાંચ વર્ષનું થાય એટલે પહેલું ધોરણ, પણ હવે આવું શક્ય નથી એટલે કે આ નિયમમાં ફેરફાર કરાયો છે. બાળક છ વર્ષનું થાય પછી જ એડમિશન આપવામાં આવશે. આ નિયમ અમલમાં પણ આવી ગયો છે.
જો નવી શિક્ષણનીતિ વિશે આપણે વાત કરીએ તો પહેલા ચેપ્ટરના સાતમા મુદ્દામાં લખ્યું છે કે ”આંગણવાડીમાં પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ (ECCE)ના શિક્ષક સંવર્ગને તૈયાર કરવા માટે હાલમાં આંગણવાડીમાં કાર્યરત શિક્ષકોને NCERT દ્વારા તૈયાર કરાયેલા અભ્યાસક્રમ અને માળખાને અનુરૂપ તાલીમ આપવામાં આવશે. 10 વત્તા 2 કે તેથી વધારેની લાયકાત હોય તેવા આંગણવાડીના શિક્ષકો ECCEનો છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરશે તો એ ECCE માટે માન્ય રહેશે. 10 વત્તા 2થી નીચે હોય તો એ એક વર્ષનો ડિપ્લોમા કોર્સ કરશે તો એ માન્ય રહેશે.”