ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફરી એકવાર અકસ્માતનો ભોગ બની છે. ગુજરાતના આણંદ શહેરમાં કાલે આ સેમી હાઈ સ્પીડ ટ્રેને 54 વર્ષીય મહિલાને કચડી નાખી હતી. સાંજે 4.37 વાગ્યાની આસપાસ બનેલા આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ઓળખ બેટારિસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે.
દુર્ઘટના સમયે મૃતક મહિલા ટ્રેન આવી રહી હોવા છતાં ટ્રેક ક્રોસ કરી રહી હતી, પરંતુ ટ્રેનની સ્પીડનો સચોટ ખ્યાલ ન આવવાને કારણે તે તેની અડફેટે આવી ગઈ હતી. તેઓનું શરીર કપાઈ ગયુ હોવાના સમાચાર છે. આ બાદ લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાના પરિવારને જાણ કરવામા આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
સોમવારે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી અને તેમના સાથી વારિસ પઠાણે પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમા તેમની પર પથ્થરમારો થવાનો આરોપ લગાવ્યો હતો. બંને નેતાઓ પાર્ટીના પ્રચાર માટે ગુજરાત જઈ રહ્યા હતા. બાદમાં વારિસ પઠાણે પથ્થરબાજી બાદ ટ્રેનની બારીના ફલકમાં તિરાડોના ફોટોગ્રાફ્સ પણ જાહેર કર્યા હતા. જોકે, રેલવે દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી નથી.
માત્ર એક મહિના પહેલા શરૂ થયેલી આ ટ્રેન અત્યાર સુધીમાં અનેક વખત અકસ્માતનો ભોગ બની છે. દેશની આ ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર કેપિટલ સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી હતી. ત્યારપછી આ ટ્રેન 3 વખત પાટા પર આવેલા પ્રાણીઓ સાથે અથડાઈ છે.
*ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અકસ્માત:
-6 ઓક્ટોબરે વટવાથી મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે ચાર ભેંસ સાથે અથડાતાં ટ્રેનની આગળની પેનલ તૂટી ગઈ હતી.
-7 ઓક્ટોબરે આણંદ રેલવે સ્ટેશન પાસે વંદે ભારત એક્સપ્રેસ ગાય સાથે અથડાઈ હતી.
-29 ઓક્ટોબરના રોજ ગુજરાતના અતુલ રેલ્વે સ્ટેશન પાસે આખલા સાથે અથડાયા બાદ ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો.