બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, ત્યારે બે મહિના અગાઉ અત્યારથી જ વ્યાપક તૈયારીઓ ધરવામાં આવી, જાણો કેવો છે આ વખતનો પ્લાન

Lok Patrika
By Lok Patrika
Share this Article

(માહિતી બ્યુરો,પાલનપુર): વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. ૫ થી ૧૦ સપ્ટે્મ્બર-૨૦૨૨ દરમ્યાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે.બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે બે મહિના અગાઉ અત્યારથી જ વ્યાપક તૈયારીઓ ધરવામાં આવી છે. શ્રધ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રીએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. કલેકટશ્રીએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, બે વર્ષ બાદ ફરીથી ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે ત્યારે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી કરીએ.

બેઠકમાં અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કલેકટરશ્રીએ ઉપયોગી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, શ્રી ૫૧ શક્તિપીઠ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવશે. વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફિકેશન કરાશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, ભાદરવી પૂનમ જેવા આસ્થાના પર્વમાં સહભાગી થવાનો જીવનમાં અવસર મળ્યો છે ત્યારે દરેક વિભાગોએ શ્રધ્ધાના આ પર્વને માઇક્રો પ્લાાનિંગ કરી અનોખો બનાવવાનો છે. મેળા પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોવાથી તેમણે આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ભાર મુક્યો હતો.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પ્રસંગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પુરતી સંખ્યામાં તૈનાત કરાશે. આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને CCTV કેમેરાથી વોચ રાખશે. કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે. આ મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મેળા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

અંબાજી ભાદરવી મહામેળાની ગણના ગુજરાતમાં જ નહિ પરંતુ પશ્વિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં થાય છે. મેળા પ્રસંગે અંબાજી જતા તમામ રસ્તાઓ માઇભક્તોથી ભરચક બની જાય છે. અરવલ્લીના ડુંગરાઓમાં મેળા પ્રસંગે ભક્તિરસની છોળો ઉડશે. રસ્તાઓ ઉપર વિશાળ સંખ્યામાં વિવિધ સેવા કેન્દ્રો મેળા પ્રસંગે કાર્યરત બનશે. મેળા પ્રસંગે સમગ્ર ઉત્તર ગુજરાત ભક્તિરસમાં ભીંજાય છે. બેઠકમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી આર. કે. પટેલ, જિલ્લાક ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, પ્રયોજના વહીવટદારશ્રી એમ. બી. ઠાકોર સહિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly