આજે આખો દેશ આઝાદીના પર્વના જશ્નમાં ડૂબી ગયો છે ત્યારે ગુજરાતમાં પણ આ ઉજવણી જોરોશોરોથી ચાલી રહી છે. લોકો ગલીએ ગલીએ દેશ ભક્તિના નારા લગાવીને ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એક સારા સમાચાર મળી રહ્યા છે કે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો હોવાના સારા સમાચાર છે. 76મા સ્વાતંત્ર્ય પર્વે મોડાસા ખાતે CMએ ખાસ ઉજવણી કરી છે.
આજની વિગતો પ્રમાણે વાત કરીએ તો સાતમું પગાર પંચ મેળવતા કર્મચારીઓને લાભ મળશે. જેમાં 1 જાન્યુઆરી 2022થી ભથ્થુ અમલી પણ થઈ જશે. તેમજ તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. જેમાં અંદાજે 9.38 લાખ કર્મચારીઓને લાભ મળવાની વાત સામે આવી રહી છે. જો કે રાજ્ય સરકારને ભથ્થુ વધારવાથી રૂ.1400 કરોડનું ભારણ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારી હિતલક્ષી નિર્ણય કર્યો કે રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા. 01-01-2022થી 3 ટકાનો વધારો કર્યો છે. મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. જેમાં પ્રથમ હપ્તો ઑગસ્ટ-2022 બીજો હપ્તો સેપ્ટેમ્બર-2022ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે