થોડા દિવસો પહેલા જ વિધાનસભામાં પસાર કરાયેલા ઢોર નિયંત્રણ કાયદાનો અમલ મોકૂફ રાખવાની સીએમ ભૂપેન્દ્ર પટેલે માલધારીઓને ખાતરી આપી છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, આજે માલધારી સમાજના આગેવાનો સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે જ્યાં સુધી માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ ના આવે ત્યાં સુધી આ કાયદાને અમલમાં મૂકવામાં નહીં આવે.
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે પણ માલધારી આગેવાનો સાથે સોમવારે બેઠક કરી તેમને ખાતરી આપી હતી કે તેઓ સરકારને કાયદા પર ફેરવિચારણા કરવા માટે વિનંતી કરશે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ સરકારે વિધાનસભામાં બિલ પસાર કરીને ઢોર નિયંત્રણ કાયદો બનાવ્યો હતો. જેના અંતર્ગત શહેરી વિસ્તારોમાં ઢોર રાખનારાઓને માટે લાઈસન્સ લેવું તેમજ પ્રાણીઓને ટેગ કરાવવું ફરજિયાત બનાવાયું હતું.
જે વ્યક્તિ આ કાયદાનો ભંગ કરે તેને જેલની સજા કરવાની જાેગવાઈ પણ કાયદામાં કરવામાં આવી હતી. જાેકે, તેની સામે માલધારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના અનુસંધાને સી.આર. પાટીલ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. માલધારીઓએ રાજ્યભરમાં આ કાયદાનો જાેરદાર વિરોધ પણ કર્યો હતો, અને રેલીઓ પણ કાઢી હતી.
એટલું જ નહીં, ઘણા જિલ્લામાં સ્થાનિક તંત્રને આવેદન પત્ર સોંપીને કાયદાને પડતો મૂકવાની માગ પણ કરવામાં આવ હતી. એક તરફ રાજ્યમાં રસ્તા પર રખડતા ઢોરને કારણે તાજેતરનાદિવસોમાં જ ગંભીર અકસ્માતો થયા છે, ત્યારે સરકારે પસાર કરેલા આ કાયદા હેઠળ ૮ મહાનગરો અને ૧૫૬ નાના શહેરોને આવરી લેવાયા હતા.
આ તમામ શહેરોમાં ઢોર રાખવા માટે લાઈસન્સ ફરજિયાત બનાવાયું હતું, અને લાઈસન્સ મળ્યાના ૧૫ દિવસમાં ઢોરને ટેગ લગાવવાનું પણ ફરજિયાત હતું. કાયદાના ભંગ બદલ ૧ વર્ષ સુધીની જેલ અને ૧૦ હજાર રુપિયાનો દંડ અથવા બંનેની જાેગવાઈ પણ હતી. એટલું જ નહીં, રખડતાં ઢોર પકડવા જતાં કોર્પોરેશનના કર્મચારી પર જાે હુમલો થાય તો દોષિતને ૧ વર્ષની જેલ અને ૫૦ હજારનો દંડ કરવાની પણ જાેગવાઈ આ પ્રસ્તાવિત કાયદામાં હતી.
આ સિવાય ટેગ કરાયેલું ઢોર પકડાય તો ૫,૦૦૦ રુપિયા દંડ પણ હતો, અને જાે ફરી આવું થાય તો દંડની રકમમાં વધારાની પણ જાેગવાઈ હતી. જાેકે, આ કાયદાનો વિરોધ કરી રહેલા માલધારીઓની દલીલ હતી કે રખડતા ઢોર પર કાબૂ મેળવવા માટે હાલ જે કાયદો અમલમાં છે તેમાં જ તેને લગતી પૂરતી જાેગવાઈ છે, તેવામાં નવા કાયદાની જરુર નથી. એટલું જ નહીં, માલધારીઓએ સરકાર કાયદો મોકૂફ રાખવાની લેખિત ખાતરી ના આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની પણ માલધારી સમાજ દ્વારા ચિમકી આપવામાં આવી હતી.