Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાગરિકોની સેવામાં આજે વર્તમાન રાજ્ય સરકારને એક વર્ષ પૂર્ણ થયું. આજથી બરાબર એક વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસના વાયદા કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગત એક વર્ષમાં ગુજરાત સરકારે સમાજના પ્રત્યેક વર્ગના ઉત્કર્ષ માટે અને રાજ્યના સર્વાંગીણ, સર્વસ્પર્શી વિકાસ માટે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો હાથ ધર્યા. પહેલી ટર્મમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને જનતાએ 156 બેઠકો આપીને પ્રચંડ બહુમતી સાથે સત્તા સોંપી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાના વિચારો શેર કર્યા હતા અને કહ્યું કે, આયુષ્માન કાર્ડ હેઠળ રૂ. 10 લાખ સુધીની નિ:શુલ્ક આરોગ્ય સારવાર હોય કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિક ભાઈબહેનોને રૂ. 5 માં ભરપેટ પૌષ્ટિક ભોજન આપવાની વાત હોય, સરકારે પ્રત્યેક નિર્ણય ગરીબ-વંચિત પરિવારોના હિતને કેન્દ્રમાં રાખીને કર્યા.
ગત એક વર્ષમાં સેમીકન્ડક્ટર, ઈવી, ગ્રીન હાઈડ્રોજન, બાયોટેક્નોલોજી સહિતના ન્યૂ-એજ સેક્ટર્સમાં ગુજરાતે ઉદાહરણીય પહેલ કરી. તેવી જ રીતે, “બેક ટુ બેઝિક્સ” ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતી અને શ્રીઅન્નનો વ્યાપ વધારવાની દિશામાં આપણે તેજ ગતિથી આગળ વધ્યા. G20 ની મહત્ત્વની બેઠકોનું સફળતાપૂર્વક આયોજન તેમજ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે ઉજવણી કરીને દેશ અને દુનિયાનું ધ્યાન આપણે ગુજરાત તરફ આકર્ષિત કર્યું.
પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે આવનાર સમયમાં આ લક્ષ્યને સિદ્ધ કરવામાં વિકસિત ગુજરાતના નિર્માણ થકી આપણે શ્રેષ્ઠ યોગદાન આપીશું તેવો મને વિશ્વાસ છે આવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
વર્ષ 2022માં 156 બેઠકો સાથે પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી તરીકેના એક વર્ષના કાર્યકાળમાં ભૂપેન્દ્ર પટેલ પોતાની સાદગીથી લોકોના દિલ તો જીત્યા છે જ સાથે સાથે તેમનો મક્કમ મિજાજ ગુજરાતીઓને ખૂબ પસંદ આવી રહ્યો છે. તો, ચાલો જાણીએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક વર્ષના કાર્યકાળ દરમિયાન લેવાયેલા કેટલાક મહત્ત્વના નિર્ણયો…
1. લોકોના આરોગ્યને પ્રાધાન્ય
બીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્રભાઈ પટેલે પહેલું કામ કર્યું પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજનામાં વીમા કવચની રકમને 5 લાખથી વધારીને 10 લાખ કરવાનું. તેમના આ એક નિર્ણયથી લાખો પરિવારોને સારામાં સારી સારવાર મળી છે અને એ પણ વિનામૂલ્યે. તો ‘વન નેશન – વન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયેલા 272 ડાયાલિસિસ કેન્દ્રોમાં ગત 6 મહિનામાં 1.5 લાખથી વધુ ડાયાલિસીસ થયાં છે.
2. યુવાનોને મળી સરકારી નોકરી
રાજ્યના યુવાઓને સરકારી નોકરી મળી રહે તે માટે 1 વર્ષમાં નવી 8000 જગ્યાઓ ભરવામાં આવી. આ ઉપરાંત રાજ્યમાં 433 જેટલા ભરતી મેળાઓનું આયોજન કરીને 1 લાખથી વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી પૂરી પાડી. આગામી 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતી કરવાની દિશામાં પણ આગળ વધી રહી છે દાદાની સરકાર.
3. G-20 બેઠકોનું સફળ આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને મળેલી G-20 સમિટની અધ્યક્ષતા અને તેના ભાગરૂપે ગુજરાતમાં યોજાયેલી G-20 સમિટની બેઠકોથી ગુજરાતે આંતરરાષ્ટ્રીય ફલક પર વિકાસ મોડલને પ્રસ્થાપિત કર્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આયોજિત G-20 સમિટની બેઠકોથી ગુજરાતના પ્રવાસનને પણ એક નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે.
4. મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પહેલીવાર ગુજરાતનું બજેટ 3 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું અને નારી શક્તિને પ્રાધાન્ય આપવા મહિલા માટે બજેટમાં 1,04,986.70 કરોડ રૂપિયાની ફાળવણી કરી. મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા નવી 686 મહિલા સુરક્ષા ટુકડી “SHE- ટીમ” કાર્યરત કરવામાં આવી. સાથે જ 660 પોલીસ સ્ટેશનોમાં વુમન હેલ્પ ડેસ્કની શરૂઆત થઈ.
5. લોકોની સુરક્ષા વધી
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓળખ મૃદુભાષી મુખ્યમંત્રી તરીકેની છે. પરંતુ તેમના મક્કમ મિજાજથી ડ્રગ્સ માફિયાઓ, ખનન માફિયાઓ અને અસામાજિક તત્વો બરાબર પરિચિત છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં ઘુસતા ડ્રગ્સના દૂષણને ડામવા માટે જે કામગીરી કરી છે તે ઐતિહાસિક છે. એટલું જ નહીં, નકલ માફિયાઓને ડામવા માટે સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ અટકાવવા એવો કડક કાયદો બનાવ્યો છે કે કોઈ પણ પરીક્ષામાં ખોટું કરવાની ભૂલથી પણ કોઈ ભૂલ નહીં કરે. સાથે જ, વ્યાજ માફિયાઓને જડમૂળથી ખતમ કરવા માટે દરેક જિલ્લામાં લોકદરબાર યોજીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગરીબોને રક્ષણ પૂરું પાડ્યું છે અને ઘરે બેઠાં વિવિધ યોજનાઓનો લાભ આપ્યો છે.
6. વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ સમિટની પહેલ
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પહેલીવાર દરેક જિલ્લામાં વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું અને આ સમિટથી તાલુકા તેમજ જિલ્લા સ્તરે કામ કરતા નાના ઉદ્યોગોને ખૂબ મોટું પ્લેટફોર્મ મળ્યું છે. 45 હજાર કરોડ રૂપિયાથી વધુના MoU થયા અને 2.25 લાખ રોજગારીની નવી તકોનાં દ્વાર ખુલ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકારની સૌથી મોટી સિદ્ધિ છે સમગ્ર દેશમાં પહેલીવાર ગુજરાતમાં ઉત્પાદન થવા જઈ રહ્યું છે ચીપનું. ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર કંપની માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU-સમજૂતી કરાર થયા છે. સાણંદ આ કંપની પોતાનો પ્લાન્ટ સ્થાપી રહી છે. એટલે કે સેમી કન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં એક માત્ર રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે.
7. શિક્ષણ ક્ષેત્રે આગળ વધ્યું ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે નવી શિક્ષણ નીતિને આ વર્ષથી જ લાગુ કરી દીધી છે. યુનિવર્સિટીઓ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે જ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોથી આંગણવાડી અને ધોરણ.1માં નાનાં ભૂલકાંઓનો આ વર્ષે રેકોર્ડબ્રેક પ્રવેશ થયો છે. જેમાં આંગણવાડીમાં 9 લાખ 77 હજાર ભૂલકાં અને ધોરણ-1 માં 2.30 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો. વિદ્યા સહાયકોની રેકોર્ડ બ્રેક ભરતી ઉપરાંત શિક્ષકોની હંગામી ઘટ પૂરી કરવા માટે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી છે.
8. કૃષિ-પશુપાલનના વિકાસમાં હરણફાળ
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ગુજરાતના ખેડૂતો વધુ સદ્ધર અને મજબૂત બની રહ્યા છે. રાજ્ય સરકારે સફળતાપૂર્વક ‘રવી કૃષિ મહોત્સવ’નું આયોજન કરીને ખેડૂતોને નવી દિશા પૂરી પાડી છે. ખરીફ પાકના વાવેતરમાં 10 લાખ હેક્ટરના વધારા સાથે ખેડૂતોને સિંચાઇ માટે વધારાનું 2.27 મિલિયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. રાજ્ય સરકારે 20 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાની સાથે 8.5 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. પશુપાલનમાં પણ ગુજરાતનું ડેરીક્ષેત્ર ખૂબ પ્રગતિ કરી રહ્યું છે.
9. વંચિતોનો વિકાસ
દાદાની સરકાર દરેક આદિવાસીઓની સુખાકારી માટે કટિબદ્ધતાથી કામ કરી રહી છે. આદિવાસી મહિલાની વ્હારે આવીને ગંભીર એનીમિયા ધરાવતી 10 હજારથી વધુ આદિવાસી માહિલાઓની ઓળખ કરી તેમની જરૂરિયાત મુજબ સારવાર કરીને માતા મૃત્યુ દરમાં ઘટાડો કર્યો છે. તો શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના અમલમાં મૂકી છે. એટલું જ નહીં શ્રમિકોને પોષણક્ષમ ભોજન મળે તે માટે પાંચ રૂપિયામાં ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલી બનાવી છે.
10. ગુજરાતી ગરબાને ગ્લોબલ ઓળખ મળી
ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં જ ગુજરાતની ઓળખ ગણાતા ગરબાને વિશ્વ ફલક પર સ્થાન મળ્યું છે. ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરીને યુનેસ્કોએ ગરબાને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ આપી છે.
11. ધોરડોની વિશ્વફલક પર નામના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અથાગ પ્રયાસોથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. વિદેશી પ્રવાસીઓના મામલે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે તો આંતર રાજ્ય પ્રવાસીઓમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. એટલું જ નહીં, કચ્છના ધોરડોને સંયુક્ત રાષ્ટ્રએ વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ તરીકેનું સન્માન આપતાં જ પ્રવાસન ક્ષેત્રને વધુ એક નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે.
12. અયોધ્યામાં ગુજરાતી ભવનનું નિર્માણ
જેની લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તે અયોધ્યા નગરીનું સ્વપ્ન પૂર્ણ થવાના આરે છે. કોઈ પણ ગુજરાતી શ્રદ્ધાળુ અયોધ્યા જાય ત્યારે ભગવાન શ્રી રામની નગરીમાં તે પરિવાર સાથે રોકાઈ શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે અયોધ્યામાં વિશાળ અને અદ્યતન ગુજરાતી ભવનના નિર્માણનું કામ શરૂ કરાવ્યું છે.
દ્વારકામાં આહીરાણીઓ સાથે રાસ રમવા આવશે ભગવાન શ્રી કૃષ્ણ, જાણો શું છે મહારાસની સમગ્ર તૈયારી?
અમદાવાદમાં AMTSના મુસાફરોને હવે મળશે ACનો લાભ, AMCએ 100 એસી AMTS બસો દોડાવવાનો લીધો નિર્ણય
GPSSBના નિયમોમાં મોટો ફેરફાર, તલાટીની પરીક્ષામાં હવે સ્નાતક ફરજીયાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર અને વિકસિત ભારતના નારાને સાર્થક કરવા ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ખભાથી ખભો મિલાવીને કામ કરી રહી છે અને જન જન સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડીને સુશાસનના મંત્રને સાકાર કરી રહી છે.