Gujarat Weather update : ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. દિલ્હી-એનસીઆરના લોકો પણ ભેજવાળી ગરમીથી પરેશાન છે. આ સાથે જ હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટથી રાહતની આશા જાગી છે. ચક્રવાત બિપોરજોય આગામી કેટલાક કલાકોમાં તોફાનમાં તીવ્ર બને તેવી સંભાવના છે. આ કારણે અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ પડવાનો છે. ભારે પવન અને વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. આઇએમડીએ આ આગાહી કરી છે.
હવામાન વિભાગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અતિ ગંભીર ચક્રવાત ‘બિપોરજોય’ ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેવી અપેક્ષા નથી. હિમાચલ પ્રદેશમાં સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. કેટલાક સ્થળોએ વાવાઝોડા અને કરા પડવા માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઊંચા પહાડોમાં એક-બે જગ્યાએ હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન તેલંગાણાના 23 જિલ્લામાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે તોફાની પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.
આ વાવાઝોડું 200-300 કિમીના અંતરે ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે, પરંતુ આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. આઇએમડીએ તેની તાજેતરની આગાહીમાં જણાવ્યું છે કે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ આગામી 12 કલાક દરમિયાન અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી સંભાવના છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતાં પહેલાં તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાનું અનુમાન છે. આ સાથે વરસાદ પણ થશે. જેના કારણે તમામ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દીધું છે. વાવઝોડાની ગતિવિધીને લઈને હવામાન વિભાગ દ્વારા સરકારને પળેપળનો રિપોર્ટ આપી રહ્યા છે. સરકાર દ્વારા તંત્ર એલર્ટ રહેવા માટે સૂચના આપી છે.