૨૦૧૪ પહેલા દ્વારકાથી ૨૦ કિલોમીટર દૂર આવેલા ગઢેચી ગામમાં ઉનાળો આવતાં જ પાણી માટે બૂમરાણ થતી હતી. અહીં પૂરતા પ્રમાણમાં વરસાદ પડતો નથી જેના કારણે સ્થાનિકો ખેતી અને પીવાના પાણી માટે કાગડોળે ચોમાસાની રાહ જાેતા હતા. હવે વિધિની વક્રતા જુઓ કે ગઢેચી ગામના રહેવાસીઓ વરસાદના વિચાર માત્રથી પણ ગભરાઈ જાય છે.
ક્લાઈમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તનના કારણે એક સમયે પાણીની તંગથી ઝઝૂમતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને ૧૨૫ પરિવારોના આ ગામમાં ત્રણ-ચાર મહિના સુધી છાતી સુધીના પાણી ભરાયેલા રહે છે. ગત વર્ષે આ જિલ્લામાં સરેરાશ વાર્ષિક ૧૪૪ ટકા વરસાદ પડ્યો હતો. ચાલુ વર્ષે ૨૧ જુલાઈ સુધીમાં સીઝનનો ૮૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ભૌગોલિક દ્રષ્ટિએ ગઢેચીના ઊંધી રકાબી જેવા આકારના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. પાણી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી અને નજીકના વિસ્તારોમાંથી સતત પાણી અંદર આવ્યા કરે છે. એક વખતે જે ખેતરોની જમીન એકદમ સૂકી રહેતી હતી તે હવે કેટલાક મહિનાઓ સુધી પાણીમાં ગરકાવ રહે છે જેના કારણે ખેડૂતો ખરીફ કે રવિ પાક નથી લઈ શકતા. લોકોના મકાનોમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે જેના કારણે તેમને ના છૂટકે ગામની નજીકની સરકારી સૂકી જમીન પર આશરો લેવો પડે છે અથવા તો તેમના સગા-વહાલાને ત્યાં રહેવા જવું પડે છે.
મહિનાઓ સુધી પોતાના ઘરથી દૂર રહેવાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડે છે. ગામના બહારના ભાગમાં સર નામનો વિસ્તાર છે જે ચોમાસા દરમિયાન ટાપુનું રૂપ લઈ લે છે. ગામના સ્થાનિક આગેવાન જેસલભાઈ સુમાણિયા આ મુદ્દો સત્તાધીશો સામે ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું, “આ ગામના ૧૨૫ પરિવારોને તેમનું આખું ઘર અને ઢોર કોઈ કામચલાઉ જગ્યાએ અથવા તો સંબંધીના ઘરે લઈ જવા પડે છે.
ચાર મહિના પછી જ્યારે પાણી સૂકાઈ જાય ત્યારે જ તેઓ પાછા ફરી શકે છે. અમે વાવણી નથી કરી શકતાં અને તેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન જાય છે. અન્ય એક ગ્રામજન રણજિત સુમાણિયાએ કહ્યું, “દશકા પહેલા આ પ્રદેશમાં માત્ર થોડા દિવસ માટે વરસાદ આવતો હતો અને ત્યારે આ સમસ્યા આટલી ગંભીર નહોતી. પરંતુ હવે જૂનના અંતથી વરસાદ શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી પડતો રહે છે. ગામમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી પાણી ભરાયેલા રહે છે.