સાગર આહિર(અમદાવાદ): સમાજની રચનાએ એક વ્યક્તિ નહીં પરંતુ ઘણા બધા લોકો ભેગા મળીને થાય છે. કોઈ પણ સમાજની વાત હોય તેમાં દરેક પ્રકારની વિચાર શ્રેણીવાળા લોકો રહેતા હોય છે અને પોતપોતાના પ્રયત્નોથી સમાજનું નામ આગળ લઈ જવામાં યોગદાન આપતા હોય છે. ત્યારે આજે આહિર સમાજની બહેન-દિકરીઓએ રાસ રમતા-રમતા વિશ્વ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.
ત્યારે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ગોપાલ ઈટાલીયા દ્વારા આહિર સમાજ અને દ્વારકા ખાતે યોજાયેલા મહારાસના આયોજનના વખાણ કરવામાં આવ્યા હતા. ગોપાલ ઈટાલીયાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરતા જણાવ્યું હતું કે, સમસ્ત આહિર સમાજ દ્વારા “આહીરાણી મહારાસ”નું અતિભવ્ય આયોજન કર્યું છે. વધુમાં આ આયોજનની કલ્પના કરનાર આહિરાણી બહેનોને બિરદાવી હતી અને તેમના સાહસને વખાણ્યું હતું.
વધુમાં ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે, આ મહારાસના કાર્યક્રમમાં કોઈ પાર્ટી કે અન્ય આગેવાનોને આગળ ન રાખતા સમાજની એકતાને પ્રકાશિત કરવાનો પ્રયત્ન ખૂબ સરાહનીય છે. કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારના VIP કે અન્ય પ્રકારની સુવિધા ન રાખતા એક સમાનતાની ભાવનાથી લોકોને ભેગા કરવામાં આવ્યા હતા. સમાજની આ એકતાના કારણે જ આટલા મોટા આયોજન કરવામાં સફળતા મળી છે અને વિશ્વ કક્ષાએ એક રેકોર્ડ સ્થાપાયો છે. અને એક લોહિયા આહિર સમાજે પોતાના લોકોને સાથે રાખીને વિશ્વમાં ડંકો વગાડ્યો છે.
ગોપાલ ઈટાલીયાએ અન્ય સમાજને પણ આહિર સમાજના આ આયોજનથી પ્રરણા લઈ પોતાના કાર્યક્રમો કરવાની સલાહ આપી છે. સામાન્ય રીતે કોઈપણ સમાજના કાર્યક્રમમાં મોટા-મોટા આગેવાનો આગળ સ્ટેજ ઉપર બેસીને પોતાનું નામનો જાપ જપતા હોય છે, તથા મોટા રાજનેતા કે મંત્રીઓના ભાષણથી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરતા હોય છે. જ્યાં સામાન્ય લોકોનો ફાળો ખાલી આ મોટા-મોટા મહાનુભાવોને સાંભળવાનો જ હોય છે. અને અવું પણ બની શકે કે, તમારા જ દીધેલા ફાળામાંથી ચાદર અમને સન્માનનો ખર્ચો થતો નીકળતો છે. જેમાં તમને એક રૂપિયાનો પણ લાભ મળતો ન હોય છે.
વાત જાણે એમ છે કે, તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા યાત્રાધામના આંગણે મહારાસનું અતિ ભવ્ય આયોજન કરાયું હતું. દ્વારકા ખાતે આશરે 37,000થી પણ વધુ બહેનોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં મહારાસ રમી વ્રજવાણીની યાદ અપાવી હતી. ઉલ્લેખનીય છે કે, બાણાસુરની પુત્રી અને શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૂધ્ધજીના પત્ની ઉષાએ તેમના લગ્ન બાદ દ્વારકા ખાતે જે ગરબો રચ્યો હતો, તે રાસ અહીયા રમવામાં આવ્યો હતો.
આહીરાણી બહેનોએ પરંપરાગત પહેરવેશ, પરંપરાગત આભૂષણો સાથે મહારાસની રમઝટ બોલાવી કૃષ્ણ પ્રત્યે પોતાની પ્રેમભાવના વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આહિર સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનના પ્રારંભે સૌ પ્રથમ આમંત્રણ કંકોત્રી ભગવાન દ્વારકાધીશના જગત મંદિર તથા સૌરાષ્ટ્રના તમામ મુખ્ય મંદિરોમાં આહીર સમાજના આગેવાનોએ ભગવાનને આપવામાં આવી હતી.