માહિતી બ્યુરો, પાલનપુર: નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકાર ધ્વારા સમાંયતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ જરૂરી પગલાં લેવા સરકારે નિર્દેશ કરેલ છે. તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જાહેરનામા તા.૧૩/૩/૨૦થી ધી ગુજરાત એપિડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન, ૨૦૨૦ અસ્તિત્વમાં લાવેલ છે.
બનાસકાંઠા જિલ્લામાં કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાય૨સને વધુ ફેલાતો અટકાવવા જાહેર હિતમાં પુરતાં પગલાં લેવા જરૂરી છે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ફેસિયલ માસ્ક પહેરવાથી ફેલાવો થતો નોંધપાત્ર રીતે અટકાવી શકાય છે તેથી ઉક્ત રેગ્યુલેશનના નિયમ-૧૧ હેઠળ મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે.
આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ધી એપિડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ વ્યકિતઓ જયારે તેઓ જાહેર જગ્યાએ હોય ત્યારે કામના સ્થળોએ ફરજિયાત પણ માસ્ક પહેરવું જોઈશે અથવા હાથરૂમાલ કે મોંઢા અને નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કાપડથી મોઢું અને નાક ઢાંકી રાખવાનું રહેશે. આ હુકમ તા.૧૫/૦૬/૨૦૨૨ થી તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને, જિલ્લામાં ફરજ ઉપરના હાજર એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, નગરપાલિકાના અધિકારીઓને, આરોગ્ય ખાતાના અધિકારીઓને, પંચાયત ખાતાના વર્ગ-૩ તથા તે ઉપરના કર્મચારી/ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો સામે આ હુકમનો ભંગ થયે રૂા.૧૦૦૦/નો દંડ વસુલ કરવામાં આવશે. સ્થળ ઉપર આ દંડ ભરવામાં ચુક થયે ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક. ૧૮૮ તથા ધી ગુજરાત એપિડેમિક ડીસીઝ એકટ-૧૮૯૭ની જોગવાઈ હેઠળ શિક્ષાને પાત્ર થશે.