બરોડા રણજી ટીમના ક્રિકેટર વિષ્ણુ સોલંકી માટે અત્યારે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે. થોડા દિવસ પહેલા જ વિષ્ણુ સોલંકીએ નવજાત દીકરી ગુમાવી હતી. દીકરીના નિધનના આઘાતમાંથી તે હજી બહાર નહોતો નીકળી શક્યો ત્યાં રવિવારના રોજ અન્ય એક દુખદ ઘટના તેના જીવનમાં બની. રવિવારના રોજ વિષ્ણુના ૭૫ વર્ષીય પિતાનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું. કટકમાં ચંદીગઢ સામે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યો હતો તે જ સમયે વિષ્ણુને આ સમાચાર મળ્યા.
વિષ્ણુ આ સમાચાર સાંભળીને શોકમાં ગરકાવ થઈ ગયો હતો, થોડીવાર સુધી તેણે કોઈની સાથે વાત પણ નહોતી કરી. પરંતુ પોતાના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા તે ઉભો થયો અને મેદાનમાં ઉતર્યો. આખો દિવસ તે ફીલ્ડ પર હાજર રહ્યો હતો. ટીમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિષ્ણુને કહેવામાં આવ્યુ હતું કે જાે તે ઈચ્છે તો તાત્કાલિક વડોદરા જવા નીકળી શકે છે. પરંતુ તેણે ત્યાં રહીને રમત પૂરી કરવાનો ર્નિણય લીધો. બરોડા અને ચંદીગઢની ટીમના બાકી ખેલાડીઓએ વિષ્ણુના પિતા પરષોત્તમ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી અને હાથમાં કાળી પટ્ટી બાંધીને મેચ રમ્યા હતા.
સોલંકીએ પિતાના અંતિમ સંસ્કાર વીડિયો કોલ પર જાેયા. તે સમયે વિષ્ણુની આંખો ભરાઈ આવી હતી. ટીમના એક અધિકારીએ જણાવ્યું કે, કટકમાં આગામી મેચ રમ્યા પછી તે વડોદરા પાછો ફરશે. મેચ પૂરી થયા પછી વિષ્ણુ પોતાના રુમમાં જતો રહ્યો હતો અને ત્યાં જ બાકીનો સમય પસાર કર્યો. વિષ્ણુ સોલંકીના મિત્ર રોનક પટેલ જણાવે છે કે, થોડા વર્ષો પહેલા તેમના પરિવારની નાણાંકીય સ્થિતિ અત્યંત સામાન્ય હતી. ખાનગી ક્રિકેટ ક્લબની ફી ભરવા તેઓ સક્ષમ નહોતા.
તેના પિતા જે રિફાઈનરીમાં કામ કરતા હતા ત્યાંની ક્રિકેટ ટીમમાં તે જાેડાયો હતો. ત્યારપછી વિષ્ણુ અન્ય ક્લબમાં રમવા જતો હતો. રણજીમાં રમવાની શરુઆત કરી પછી તેમની નાણાંકીય સ્થિતિમાં સુધારો આવ્યો હતો. તેણે રમવાની શરુઆત કરી ત્યારે હું સુકાની હતો, માટે હું તેને સારી રીતે ઓળખુ છું. તે પ્રતિભાશાળી ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે ૨૯ વર્ષીય ઓલરાઉન્ડર વિષ્ણુ સોલંકીની તાજેતરમાં જ ચર્ચા થઈ હતી.૧૨મી ફેબ્રુઆરીના રોજ વિષ્ણુએ પોતાની નવજાત બાળકીને ગુમાવી હતી. તેણે આ દુખદ ઘટનાના ચાર દિવસ પછી જ મેચ રમવાનો ર્નિણય લીધો હતો અને કટકમાં સદી ફટકારી હતી. વિષ્ણુએ પોતાની સદી દીકરીને સમર્પિત કરી હતી.