ગુજરાતમાં એશિયાટિક સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ધરતી પરના તેમના એકમાત્ર ઘરમાં તેમની અંદાજિત વસ્તી વધીને ૧૨૦૦ થઈ ગઈ છે. જાેકે, આ આંકડો સત્તાવાર નથી. ૨૦૨૨નો સત્તાવાર આંકડો ૭૬૦ છે પરંતુ વનરક્ષકોનું કહેવું છે કે, અસલ આંકડો આનાથી વધારે હોઈ શકે છે કારણકે છેલ્લા એક વર્ષમાં સિંહો તેમની હદ વિસ્તારી ચૂક્યા છે. ૨૦૨૨ની ગણતરીના આંકડાની સત્તાવાર જાહેરાત હજી બાકી છે પરંતુ તેના પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, ગ્રેટર ગીર વિસ્તારમાં સિંહોની વસ્તીમાં વૃદ્ધિ થઈ છે.
વન વિભાગના અધિકારીઓના કહેવા અનુસાર, દર મહિને પૂનમ અવલોકન કરવામાં આવે છે એટલે કે પૂનમે સિંહોની વસ્તી ગણવામાં આવે છે. મે મહિનાની પૂનમે બે વખત વસ્તી ગણવામાં આવી હતી. આ ડ્રાઈવનું નામ પૂનમ અવલોકન છે પરંતુ સિંહોની સંખ્યા રાત અને દિવસ એમ બંને સમયે ગણવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે, ઝીણવટપૂર્વક સિંહોની ગણતરી કરીએ એટલે તેમના સ્વાસ્થ્ય અંગેની પણ જાણકારી મળી જાય અને જાે કોઈ મૃત્યુ થયા હોય તો તેની પણ વિગત સામે આવી જાય. ૨૦૨૦માં સિંહોની સત્તાવાર જાહેર થયેલી સંખ્યા ૬૭૪ હતી. જે દર્શાવે છે કે ૨૦૧૫ કરતાં ૧૫૧ સિંહ વધ્યા છે.
એક અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું કે, સિંહનો બિનસત્તાવાર અંદાજિત આંકડો ૧૨૦૦ની આસપાસ પહોંચી ગયો છે. ગીર, ગિરનાર, મિતિયાણા અને પાણીયા જેવા અભયારણ્ય વિસ્તારોમાં સિંહની વસ્તી છે. ૨૦૨૨માં આ વિસ્તારોમાં સિંહની સંખ્યા ૩૬૫ જેટલી નોંધાઈ છે એટલે કે ૨૦૨૦ની સરખામણીએ ૯ સિંહ વધ્યા છે. અધિકારીનું કહેવું છે કે, સિંહની વધતી સંખ્યા મોટાભાગે ગ્રેટર ગીર વિસ્તારમાં જાેવા મળી છે.
સિંહોના ટોળા છૂટા પડીને અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે અને તેમની હદ વિસ્તારી રહ્યા છે સાથે જ આ રેન્જમાં તેમની સંખ્યા પણ વધી રહી છે, તેમ અધિકારીએ ઉમેર્યું. ગુજરાતના વન પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશ પંચાલને સિંહોની વસ્તી ૧૨૦૦ની આસપાસ થઈ ગઈ છે તે અંગે પૂછવામાં આવતાં તેમણે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, “અમે સરકાર તરીકે ૨૦૨૦ના સત્તાવાર આંકડા ૬૭૪ને વળગી રહીશું.
” કેંદ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનમાં કાર્યરત એક સિનિયર અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું, “અમે લાંબા સમયથી સલાહ આપી રહ્યા છીએ કે, ગુજરાતે સિંહોની વસ્તી ગણવા અને અન્ય દરેક પ્રાણીને ઓળખવા માટે કેમેરા-ટ્રેપ પદ્ધતિનો ઉપયોગ કરવો જાેઈએ. આ પદ્ધતિનો ઉપયોગ વાઘ માટે પણ કરવામાં આવે છે પરંતુ ગુજરાતને જાણે આ સૂચન અમલમાં મૂકવાની ઈચ્છા જ નથી. ગુજરાતનો વન વિભાગ સિંહની વસ્તી ગણતરી માટે બહારની કોઈ એજન્સીને પણ રાખવા તૈયાર નથી.