હાલમાં સુરતથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે અને ડિજિટલ ટ્રાન્જેકશનને પ્રાધાન્ય આપવા મનપાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મનીકાર્ડ-સિટિલિંક એપ દ્વારા ટિકિટ બુક કરાવનારને 100 ટકા રાહત આપવાની વાત કરવામાં આવી રહી છે. તેમજ BRTSના 13 અને સિટીબસના 45 રૂટ પર આ સેવાનો લાભ મળશે. સુરત મનપા દ્વારા સુરતવાસીઓ માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મનપા દ્વારા આજથી સુરતવાસીઓ માટે એક મહિનો બસ સેવા ફ્રી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુરત મની કાર્ડનો ઉપયોગ કરનાર લોકો માટે ફ્રી સેવા જાહેર કરવામાં આવી છે. મની કાર્ડથી ટેપ કરીને મુસાફરી કરનારે એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે. પાલિકાની જાહેર પરિવહન સેવાનો શહેરીજનો વધુમાં વધુ લાભ લે એ માટે અને ડિજિટલ કેસલેસ ટ્રાન્જેકશનને પ્રાધાન્ય આપવા આજથી 30 સપ્ટેમ્બર સુધી સુરત મનીકાર્ડ તથા સિટિલિંક મોબાઇલ એપ મારફતે ટિકિટ બુકિંગ કરનારને ટિકિટમાં 100 ટકા રાહત અપાશે. શહેરી બસ સેવા વધારે લોકપ્રિય બને એ માટે થઈને આવો સરસ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે રોજના 11 હજારથી વધુ લોકો મની કાર્ડનો ઉપયોગ કરે છે. પાલિકાના BRTSના 13 અને સિટીબસના 45 રૂટ પર આ સેવાનો લાભ મળશે.
વિગતો મળી રહી છે કે સિટીલિંકની એપ્લિકેશનથી ટિકિટ બુક કરાવનારને પણ 100 ટકા રાહત મળશે. સુમન પ્રવાસ ટિકિટ યોજના સફળ રહ્યાં બાદ પાલિકા દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ સેવા શરૂ કરવાનો ખાસ ધ્યેય એ છે કે લોકો આના દ્વારા વધુ ને વધુ સીટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરે.