સુરતના વેપારીએ નૂપુર શર્માનું સમર્થન કરતી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. બાદમાં વેપારીને ધમકી મળી હતી કે, ‘તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ. ધમકી મળ્યા બાદ વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદન બાદ તેનો દેશભરમાં વિરોધ થયો હતો પરંતુ કેટલાક લોકોએ નૂપુર શર્માનું સમર્થન પણ કર્યું હતું.
છેલ્લા થોડા દિવસોમાં નૂપુર શર્માના સમર્થકોને અલગ અલગ પ્રકારે ધમકી આપવામાં આવી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નૂપુર શર્માને સમર્થન બદલ કેટલાક લોકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. આ બાબતે પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે. સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા અને રાહુલ રાજ મોલમાં એક દુકાન ધરાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
જાેકે, સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સુરતના વેપારીને ધમકી મળી હતી કે, “સુરત મેં રહેના હૈ યા જાના હૈ? ફિલહાલ ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહા ન આ જાયે. મળતી માહિતી પ્રમાણે વિશાલ પટેલ નામના વેપારીએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નૂપુર શર્માને સમર્થન કરતી એક સ્ટોરી અપલોડ કરી હતી.
બાદમં વિશાલ પટેલને અલગ અલગ એકાઉન્ટ પરથી ધમકી આપવામાં આવી રહી હતી. વિવાદ વધતા વેપારીએ માફી માંગી હતી અને સ્ટોરી પણ ડિલીટ કરી નાખી હતી. વિશાલ પટેલે સ્ટોરી ડિલીટ કરી દીધી હોવા છતાં તેને અલગ અલગ પ્રકારે ધમકી આપવામાં આવી રહી હતી. આજ કડીમાં ઈન્સ્ટાગ્રામ પરથી તેને ધમકી મળી હતી કે, સુરત મેં રહેના હૈ યા જાના હૈ? ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહાં આ જાયે. આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ કરતા આરોપી મહમદ અયાન આતસબાજીવાલા પરિવારમાંથી આવતા હોવાનું સામે આવ્યું છે. વિશાલ પટેલને મોહમ્મદ અયાન મોહમ્મદ નઇમ આતસબાજીવાલા, રાસીદ રફીક, ભૂરા આલિયા, મોહમ્મદ અલી ગગન, મુના મલિક, શહેજાદ કટપીસવાલા અને ફૈઝાન નામના આઈડી પરથી ધમકી મળી હતી. પોલીસે જે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.