બિહારના ભાગલપુર ખાતે ગુરૂવારે રાતે એક બિલ્ડિંગમાં થયેલા વિસ્ફોટમાં ૧૦ લોકોના મોત થયા હતા અને ૯ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બિલ્ડિંગમાં વિસ્ફોટ થવાના કારણે આજુબાજુના અન્ય કેટલાક મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. નવાઈની વાત એ છે કે, જે બિલ્ડિંગમાં આ વિસ્ફોટ થયો તે પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટર જ દૂર આવેલી હતી. પાડોશીઓના કહેવા પ્રમાણે તે મકાનમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. પીડિત પરિવાર ફટાકડાં બનાવવાના કારોબાર સાથે સંકળાયેલો હતો.
ભાગલપુરના જિલ્લાધિકારી સુબ્રત કુમાર સેને જણાવ્યું કે, કાજબલીચક વિસ્તારમાં રહેતા મહેન્દ્ર મંડલના ઘરની અંદર આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે, તેના કારણે ૨-૩ મકાનોને નુકસાન પહોંચ્યું છે. ભાગલપુર ડીઆઈજી સુજીત કુમારના કહેવા પ્રમાણે પ્રાથમિક તપાસમાં બારૂદ, ગેરકાયદેસર ફટાકડાં અને દેશી બોમ્બના કારણે વિસ્ફોટની વાત સામે આવી છે. જાેકે એફએસએલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવે ત્યાર બાદ બ્લાસ્ટનું ચોક્કસ કારણ સામે આવશે.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તે વિસ્તારને કવર કરીને જેસીબી દ્વારા કાટમાળ દૂર કરાવ્યો હતો અને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ભાગલપુરમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારે બોમ્બ વિસ્ફોટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ ભાગલપુર બોમ્બ વિસ્ફોટમાં લોકોના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટિ્વટમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ ઘાયલો જલ્દી સાજા થાય તે માટે કામના કરી હતી. વડાપ્રધાને આ ઘટના મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ફોન પર વાતચીત કરી હતી અને પીડિતોને તમામ સંભવિત મદદ કરવા માટે જણાવ્યું હતું.