દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આરોપી આફતાબે શ્રદ્ધાના 35 ટુકડા કરી મેહરૌલીના જંગલ સહિત વિવિધ સ્થળોએ ફેંકી દીધા હતા. પોલીસ હજુ પણ શ્રદ્ધાના મૃતદેહના ટુકડા શોધવામાં વ્યસ્ત છે. આ દરમિયાન આસામમાં AIUDF ધારાસભ્ય અમીનુલ ઈસ્લામના શ્રદ્ધા હત્યા કેસને લઈને એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે કહ્યું કે શ્રાદ્ધ જેવો કિસ્સો મોદી સરકારના કારણે બન્યો છે.
AIUDF ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે કહ્યું કે મોદી સરકાર આવી તે પહેલા આવી ઘટનાઓ નથી બની કે કોઈના ટુકડા કરવામાં આવ્યા હોય. ભાજપ વિકાસના નામે વોટ માંગતુ નથી. જો નરેન્દ્ર મોદી વધુ દિવસો રોકાશે તો દરેક શહેરમાં આવા કિસ્સાઓ બનતા રહેશે.પોલીસના જણાવ્યા અનુસાર શ્રદ્ધા આરોપી આફતાબની લિવ-ઈન પાર્ટનર હતી. બંને દિલ્હીના છતરપુર વિસ્તારમાં રહેતા હતા. 18 મે, 2022ના રોજ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી.
આ પછી શ્રદ્ધાના શરીરને છુપાવવા માટે તેણે કરવતથી તેના 35 ટુકડા કરી દીધા અને લગભગ 3 અઠવાડિયા સુધી ઘરમાં રાખ્યા. આફતાબે મૃતદેહના ટુકડા ન સડી જાય તે માટે નવું ફ્રિજ પણ ખરીદ્યું હતું. આરોપ મુજબ આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા મહેરૌલીના જંગલમાં ફેંકી દીધા હતા. જો કે બાદમાં તપાસમાં સામે આવ્યું છે કે આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા અનેક જગ્યાએ ફેંક્યા હતા. શુક્રવારે પોલીસ મૃતદેહના ટુકડાની શોધમાં હરિયાણાના ગુરુગ્રામ પણ ગઈ હતી.
જણાવી દઈએ કે પોલીસે આરોપ લગાવ્યો હતો કે આરોપી આફતાબ તપાસમાં સહયોગ નથી કરી રહ્યો. જે બાદ કોર્ટે આફતાબના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી હતી. હવે નાર્કો ટેસ્ટની મદદથી આફતાબને સત્ય જાહેર કરવા દબાણ કરવામાં આવશે અને શ્રદ્ધા હત્યા કેસનું સત્ય બહાર આવશે.