રાજસ્થાનના ડુંગરપુર ખાતે એક સગીર વિદ્યાર્થીનીનું તેની જ શાળાના ૨ યુવકોએ અપહરણ કર્યું હતું અને તેના સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. સ્થિતિ બગડ્યા બાદ વિદ્યાર્થીનીને બેહોશીની હાલતમાં તેના ઘર સામે છોડીને ભાગી ગયા હતા. હાલ હોસ્પિટલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે અને હજુ સુધી આરોપીઓની ધરપકડ નથી થઈ. ડેપ્યુટી એસપી રાકેશ કુમાર શર્માએ બુધવારે આ અંગેની જાણકારી આપી હતી.
શર્માએ જણાવ્યું કે, મંગળવારે બિછીવાડા થાણા ક્ષેત્ર ખાતે સામૂહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ હતી. આ ઘટના સોમવારે બની હતી અને ૯મા ધોરણની સગીરાનું તેની જ શાળાના ૨ યુવકોએ અપહરણ કર્યું હતું. તેઓ તેને જંગલમાં લઈ ગયા હતા અને બાદમાં બંને યુવકોએ તેના સાથે કથિતરૂપે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું.
કેસની વિગતો પ્રમાણે ૨૪ જાન્યુઆરીના રોજ બપોરના સમયે ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતા બંને યુવકોએ વિદ્યાર્થીની શાળાની બહાર નીકળી એટલે તેને ફરવા લઈ જવા કહ્યું હતું અને જંગલમાં લઈ ગયા હતા. ત્યાં ર્નિજન ક્ષેત્રમાં તેના સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને શાળા છૂટવાના સમયે બંને તેને તેના ઘર સામે છોડીને ભાગી ગયા. પીડિતાએ પોતાના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને તેની સ્થિતિ ખરાબ હોવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી.