ભવર મીણા, સિરોહી: ગુજરાત-રાજસ્થાન સહિતના વિસ્તારોમાં નહીવત વરસાદના લીધે ગામેગામ પાણી પાણીના પોકારો સંભળાઈ રહ્યા છે. તો ક્યાંક પાણીના પ્રશ્નોને લઈ લોકો આંદોલન સહિતના કાર્યક્રમો કરી રહ્યા છે. તેવામાં રાજસ્થાનના એક ગામમાં કપિરાજના ટોળાએ પાણી માટે શું કર્યું જેથી 3 કપિરાજના મોત થયા છે.
ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના સિરોહી જિલ્લાના ખેતરલી ગામમાં બનેલી ઘટના કઈક એવી છે કે, અંદાજે 15 જેટલા કપિરાજનું ટોળું અગન વરસાવતી ગરમીમાં પાણી માટે ભટકી રહ્યું હતું તે સમય અચાનક એક કુવામાં પાણી દેખાઈ આવતા કપિરાજ એક પછી એક તમામે 40 ફૂટ જેટલા ઊંડા કુવામાં છલાંગ લગાવી દીધી જોકે પાણી ઓછું હોવાથી તેમજ કુવામાં પથ્થરો હોવાથી 3 કપિરાજનું મોત થયું હતું.
ઘટનાની જાણ નજીકના વગડામાં પશુઓને ચરાવતા ગોવાળને થતા તેઓએ ઘટનાની ખબર વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ કરી કપિરાજના ટોળાને કુવામાંથી બહાર નીકળવા માં સફળતા મળી હતી.