પેટ્રોલ-ડીઝલ-સીએનજી અને ઈલેક્ટ્રિક વાહનો બાદ હવે ટૂંક સમયમાં તમને ઈથેનોલ ઈંધણ પર ચાલતી કાર રસ્તા પર દોડતી જોવા મળશે. હાલમાં જ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે આવતા અઠવાડિયે તેઓ ઈથેનોલ ઈંધણ પર ચાલતી કાર રજૂ કરવા જઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આવતા અઠવાડિયે 29 ઓગસ્ટે ટોયોટાની સૌથી લોકપ્રિય કાર ઇનોવા રજૂ કરશે, જે ઇથેનોલ ઇંધણ પર ચાલે છે.
અગાઉ નીતિન ગડકરીએ ટોયોટા કંપનીની મિરાઈ EV કાર રજૂ કરી છે, આ કાર ગયા વર્ષે રજૂ કરવામાં આવી હતી. એવું લાગે છે કે કેન્દ્રીય પ્રધાન વાહન ઉત્પાદકોને વૈકલ્પિક ઇંધણ પર ચાલતા વાહનો લાવવા માટે પ્રોત્સાહિત કરશે.કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં મિન્ટ સસ્ટેનેબિલિટી કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે માહિતી આપી હતી કે તેઓ ટોયોટાની ઈનોવા કાર, જે 100 ટકા ઈથેનોલ ઈંધણ પર ચાલે છે, 29 ઓગસ્ટે રજૂ કરવા જઈ રહ્યા છે. લોકોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે ટોયોટાની આ કાર પહેલી BS6 (સ્ટેજ-2) ફ્લેક્સ-ઈંધણ આધારિત કાર હશે. હજુ સુધી આ કાર વિશે વધુ માહિતી સામે આવી નથી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે 2004માં જ્યારે પેટ્રોલની કિંમતો વધી રહી હતી, ત્યારે તેમણે બાયોફ્યુઅલમાં રસ લેવાનું શરૂ કર્યું. નીતિન ગડકરી કહે છે કે બાયોફ્યુઅલ અજાયબીઓ કરી શકે છે, એટલું જ નહીં તે દેશને પેટ્રોલિયમની આયાત પર ખર્ચવામાં આવતા વિદેશી હૂંડિયામણને બચાવવામાં પણ મદદ કરી શકે છે. ઇથેનોલ (એક પ્રકારનો આલ્કોહોલ) મુખ્યત્વે શેરડીમાંથી બનાવવામાં આવે છે અને હવે તેને પેટ્રોલમાં ભેળવીને કારમાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાશે. મતલબ કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઈલેક્ટ્રીક બાદ હવે લોકો ઈથેનોલ પર ચાલતી કારમાં મુસાફરી કરતા જોવા મળશે.