ઘણી બ્રાન્ડ્સ તેમની જાહેરાતોને લઈને વારંવાર વિવાદોમાં ફસાઈ છે અને તાજેતરનો મામલો મલબાર ગોલ્ડની જાહેરાતને લઈને છે. #NobindiNoBusiness અને #BoycottMalabarGold એ અક્ષય તૃતીયા નિમિત્તે બનાવેલી મલબાર ગોલ્ડની જાહેરાતને લઈને ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. જાહેરાતના કારણે ટ્વિટર યુઝર્સ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરને પણ નિશાન બનાવી રહ્યા છે.
મલબાર ગોલ્ડે અક્ષય તૃતીયાને લઈને જ્વેલરીની નવી જાહેરાત બહાર પાડી છે, જેમાં કરીના કપૂર જોવા મળી રહી છે. જો કે, ટ્વિટર યુઝર્સે ફરિયાદ કરી છે કે કરીના કપૂરે આ જાહેરાતમાં એક ચાંદલો લગાવ્યો નથી. ટ્રોલર્સ કહે છે કે અક્ષય તૃતીયા હિંદુઓનો તહેવાર છે અને આવા પ્રસંગે હિંદુ મહિલાઓ કુમકુમ કે બિંદી લગાવે છે, પરંતુ કરીનાએ આ જાહેરાતમાં બિંદી કેમ નથી લગાવી? આ હિંદુ ધર્મનું અપમાન છે.
વીડિયો સામે આવ્યા બાદ ટ્વિટર યુઝર્સે માલાબાર ગોલ્ડનો બહિષ્કાર કરવાની માંગ કરી અને #Boycott_MalabarGold અને #No_Bindi_No_Business હેશટેગ્સ સાથે ટ્વિટ કરવાનું શરૂ કર્યું. ટ્વિટર યુઝર્સનું કહેવું છે કે, ‘માલાબાર ગોલ્ડની નવી જાહેરાત હિન્દુ તહેવારોની મજાક ઉડાવવાનું નવું ઉદાહરણ છે.’
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર કંપનીની સ્થાપના વર્ષ 1993માં એમપી અહેમદના નેતૃત્વમાં ઉદ્યમીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કંપનીનું મુખ્ય મથક કેરળના કોઝિકોડ શહેરમાં છે અને સમગ્ર દેશમાં તેના 250 થી વધુ શોરૂમ છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર માલાબાર ગોલ્ડના અલગ-અલગ શોરૂમમાં લગભગ 13 હજાર લોકો કામ કરે છે.