cricket News: ભારત-પાકિસ્તાન મેચને લઈ AMCએ એક મહત્વનો નિર્ણય કર્યો છે જે અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. મેટ્રોની સાથે AMTS બસના રુટમાં વધારો કરવામાં આવ્યો છે અને સમાચાર છે કે સ્ટેડિયમ આવવા-જવા માટેની 50 નવી બસ મુકવામાં આવશે. મેચ પૂર્ણ થયા બાદ પણ AMTS બસો દોડશે જેથી લોકો સીધા ઘરે પહોચી શકે.
હાલમાં જ અમદાવાદ મહાનગર પાલિકાએ સ્ટેડિયમ સુધી 50 એક્સ્ટ્રા બસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. સવારે 8:30થી રાત્રે 1 વાગ્યા સુધી AMTS દોડશે. અચેર ડેપોથી વાસણા, મણિનગર, નારોલની બસ દોડશે જેથી ચારેકોરના દર્શકોને ઘરે પહોંચવામાં કોઈ તકલીફ ન પડે. અચેર ડેપોથી ઉજાલા સર્કલ સુધી બસ ચલાવાશે.
ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા આયોજીત વન ડે વર્લ્ડકપ 2023 (ODI World Cup 2023) રોમાંચક મેચોની સાથે આગળ વધી રહ્યો છે. ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેની મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સ્થાનિક પોલીસે મેચને ધ્યાનમાં રાખીને પહેલેથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.
આ મેચ માટે અમદાવાદ શહેરમાં તમામ સુરક્ષા એજન્સીઓના 11 હજારથી વધુ સ્ટાફ તૈનાત રહેશે. તેમાં કાઉન્ટર ટેરર ફોર્સ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી), રેપિડ એક્શન ફોર્સ (આરએએફ), હોમગાર્ડ અને ગુજરાત પોલીસનો પણ સમાવેશ થાય છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો હાજર રહેશે. આ સ્ટેડિયમની ક્ષમતા લગભગ 1.30 લાખ દર્શકોની છે અને ટિકિટો વેચાઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આ સ્ટેડિયમ ભરાઈ જશે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન 7 હજારથી વધુ પોલીસકર્મીઓ અને 4,000 જેટલા હોમગાર્ડ તૈનાત રહેશે.