એ વાત જાણીતી છે કે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા, ઉના અને તાલાળામાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે વિશ્વવિખ્યાત કેસર કેરીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી છે. કારણ કે આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને કેરીનો સફાયો થઈ ગયો છે.
આ સાથે ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ આખા પટ્ટામાં 50થી 60 ટકા જેટલો કેરીનો પાક નાશ પામ્યો છે તેમ કહી શકાય છે. નોંધનીય છે કે, આ વિસ્તારમાં કેસર કેરીના ખેડૂતો ઘણાં ખુશ હતા. માવઠાના કહેર પહેલા અહીં પુષ્કળ પ્રમાણમાં કેરીની આવક થવાનું ખેડૂતોનું અનુમાન હતુ. ત્યારે માવઠાએ આ ખેડૂતોની આશા પર કરા ફેરવી દીધા છે.
ગીર સોમનાથ જિલ્લાને કેસર કેરીના ગઢ ગણવામાં આવે છે. તાલાળા ગીર પંથકમાં કેસર કેરીના પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે અને લોકો પણ ચિંતામાં છે કે કેરી ખાવા મળશે કે કેમ. કમોસમી વરસાદ અને કરા પડતા કેરીને ભાર નુકસાન પહોંચ્યું છે. જેના લીધે મોટી માત્રામાં કેરીઓ ખરી પડી છે અને તમામ કેરી પર કાળા ચાંદા પડી ગયા છે. હવે કેસર કેરીના બગીચાઓ ધરાવનારા ખેડૂતો સરકારને યોગ્ય મદદ કરવાની માંગ કરી રહ્યા છે.
‘RRR’ સ્ટાર રામ ચરણની ઘડિયાળની કિંમત કરોડોમાં, લાઈફ સ્ટાઈલ અને પ્રોપર્ટી જાણીને તમારા હોશ ઉડી જશે
ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા ત્રણ તાલુકા મુખ્ય તાલાલા, ગીર ગઢડા અને ઉનામાં મોટાભાગે કેસર કેરીનું વાવેતર સાથે અન્ય નાના પાકો પણ લેતા હોય છે. હાલમાં ગીર પંથકના તમામ ગામોના સરપંચો, આગેવાનો અને ખેડૂતોએ તાલાલા મામલતદારને આવેદન પત્ર આપ્યું છે. સાથે જ સદંતર પાક નિષ્ફળ જવાની દહેશત સાથે કેસર કેરીને પાક વીમામાં સમાવવા અપીલ કરી છે.