Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટની શ્રેણી રમી રહી છે. આ પછી બંને ટીમો 3 વન ડે અને 5 ટી-20 મેચમાં આમને-સામને ટકરાશે. ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ બાદ આયરલેન્ડનો પ્રવાસ પણ કરવો પડે છે. ટીમ ઇન્ડિયા આ પ્રવાસ પર ત્રણ ટી-20 મેચ રમશે. હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ 2022થી ભારતીય ટી20 ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. પણ આયર્લેન્ડ પ્રવાસમાં ચાહકોને નવો કેપ્ટન જોવા મળી શકે છે.
હવેથી આ ખેલાડી બનશે ટી-20નો કેપ્ટન!
આયરલેન્ડ પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ જણાવે છે કે, ભારત યુવા ખેલાડીઓથી શણગારેલી ટીમને આયર્લેન્ડ પ્રવાસમાં મોકલી શકે છે. બીજી તરફ વર્લ્ડ કપ અને એશિયા કપને પગલે હાર્દિક પંડયાના વર્કલોડને મેનેજ કરવાને કારણે તેને આ પ્રવાસ માટે આરામ આપવામાં આવી શકે છે. જોકે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી અને તે વિન્ડિઝ સામેની વન ડે અને ટી-20 બાદ હાર્દિકને કેવું લાગે છે તેના પર પણ નિર્ભર રહેશે. હાર્દિક વિન્ડિઝ પ્રવાસમાં મર્યાદિત ઓવરોની શ્રેણીમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તે 18 દિવસની અંદર આઠ મેચો રમશે.
પંડ્યાનું સ્થાન લઈ શકે છે આ ખેલાડી
હાર્દિક ભારતીય વન ડે ટીમનો મહત્વનો સભ્ય છે. ટીમ મેનેજમેન્ટ અને પસંદગી સમિતિ તેમના વિશે કોઈ જોખમ લેવા માંગતી નથી. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમની કેપ્ટનશિપ કરવાની તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન બનવા જઈ રહ્યા છે. સૂર્યકુમાર યાદવને આ વર્ષે આઈપીએલમાં કેપ્ટનશીપ કરવાની પણ તક મળી હતી.