જુનાગઢ જિલ્લામાં વાવાઝોડાની સંભવિત સ્થિતિ સામે લોકોને મદદ પહોંચાડવા માટે ૨૧,૦૦૦ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેમજ વધુ ૨૫ થી ૩૦ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં શરુ છે. તૈયાર થયેલા ફુડ પેકેટને તાલુકા કક્ષાએ પહોંચાડી દેવામાં આવ્યા છે. આમ, વિવિધ સ્થળો ખાતેથી જરુરિયાતમંદોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર જુનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડુંનું સંકટ છે. ત્યારે તેવી સ્થિતિમાં ખાસ કરીને લોકોની મદદ માટે જુનાગઢ જિલ્લાની જુદી-જુદી સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે.
આ પણ વાંચો
દ્વારકા પર નહીં આવે બિપરજોય વાવાઝોડાનું સંકટ! મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા, જાણો ચોંકાવનારું કારણ
આ સંભવિત સંકટમાં લોકોને ભોજન મળી રહે તે માટે ઉત્સાહ સાથે સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ તૈયાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢ જિલ્લાના ખાસ કરીને દરિયાકાંઠાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં જિલ્લાના અન્ય તાલુકાની સરખામણીમાં સંભવિત વાવાઝોડાની વધુ અસર પહોંચી શકે તેમ છે. આમ, જુનાગઢ જિલ્લામાં દાન પુણ્યની સરવાણી, સેવાની ધૂણી ધખાવી છે. સેવાભાવી સંસ્થાઓની મદદથી સૌરાષ્ટ્રની દાતારી જોવા મળી હતી.