એવા સમાચાર છે કે વિરાટ કોહલી આગામી IPLમાં ફરીથી RCBનો કેપ્ટન બની શકે છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોહલીના કહેવા પર જ તેને ફરીથી કેપ્ટનશિપ સોંપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
એમએસ ધોની અને રોહિત શર્મા પછી આઈપીએલમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી વિરાટ કોહલી છે. તેની કારકિર્દીની શરૂઆતથી, કોહલી RCB સિવાય અન્ય કોઈ ટીમ માટે રમ્યો નથી. 8 સીઝનમાં RCBની કેપ્ટનશીપ કરનાર કોહલીને એક વખત પણ ખિતાબ મળ્યો નથી. વિરાટ કોહલી 2013 થી 2021 સુધી RCBનો કેપ્ટન હતો. ગત સિઝનમાં, કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઇજાગ્રસ્ત થયો ત્યારે કોહલીએ કેટલીક મેચોમાં આરસીબીનું નેતૃત્વ કર્યું હતું.
કોહલીએ IPLમાં 143 મેચમાં RCBની કેપ્ટનશીપ કરી છે. કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમનારાઓમાં માત્ર એમએસ ધોની (226) અને રોહિત શર્મા (158) કોહલીથી આગળ છે. પરંતુ જીત અને ખિતાબના મામલે કોહલી ધોની અને રોહિતથી ઘણો પાછળ છે. RCBની 143 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે કોહલીએ માત્ર 66 મેચ જીતી હતી, જ્યારે 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જીતની ટકાવારી માત્ર 46.15 હતી.
2016માં 973 રન બનાવીને IPL રેકોર્ડ બનાવવા છતાં કોહલી પોતાની ટીમને ટાઈટલ સુધી પહોંચાડી શક્યો નહોતો. 2016માં રનર-અપ થવું તેની ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. કોહલીએ 2021માં કેપ્ટનશીપ છોડ્યા બાદ ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન બન્યો હતો. પરંતુ ડુ પ્લેસિસ પણ અત્યાર સુધી આરસીબીને ટાઈટલ અપાવી શક્યો નથી.