કુદરતના સાનિધ્યની ઘટના સાથે પ્રસિદ્ધ લેખિકા ચાર્મી મજીઠીયાએ સમજાવ્યું સમતોલનનું અનોખું મહત્વ

Lok Patrika
By Lok Patrika
Share this Article

સમતોલન

નગરનાં શોરથી દૂર પોતાની એ જ મનપસંદ જગ્યા એવી તળાવની પાળે બેસી નિરાલી કુદરતનાં સાનિધ્યમાં ખિન્ન અંતરે પોતાની બુઠ્ઠી થઈ ગયેલી કલમને ધાર આપવાનો પ્રયત્ન કરતી હતી. કડછીથી કલમ સુધીની તેની જીવનયાત્રામાં કુટુંબીજનોનાં વિરોધ છતાં તેણે પોતાનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું હતું જેને એક અઠવાડિયામાં ધાર્યા કરતાં ઘણો ઓછો પ્રતિસાદ મળ્યો હતો.

પંખીઓનો મીઠો કલરવ તેનાં મનનાં વિચારોનાં ઘોંઘાટને દાબી દેતો. તળાવનાં એ શીતળ જળમાં બોળેલા તેનાં પગને જાણે પોતાનાં સઘળાં અદ્રશ્ય અસંખ્ય ઘાવ રૂઝાવાની અનુભૂતિ થતી. એ તળાવનાં પાણીને હળવું ચુંબન કરી વાતો ઠંડો વાયરો જ્યારે તેનાં વદનને વ્હાલ કરતો ત્યારે તેનાં હૈયાંને ટાઢક મળતી. આવા આહ્લાદક વાતાવરણમાં આજે ચિંતા તેનાં મનનાં ઉકળાટને શમવા દેતી નહતી.

તેની શ્રેષ્ઠતમ લેખિકા બનવાના સ્વપ્ન સેવતી આંખો એ નિર્મળ જળમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહી હતી. એ ખુદ પણ જળ સમાન જ તો હતી. મનથી એકદમ સાફ, જે પાત્રમાં ઢાળો તેવો આકાર સ્વીકારી લે એમ સૌ કોઈની સાથે ભળી જવાનો તેનો સ્વભાવ! સૌને નિઃસ્વાર્થ ભાવે મદદ કરતું તેનું વ્યક્તિત્વ. તે એટલી વિચારમગ્ન હતી કે પાણીમાં પોતાની પ્રતિકૃતિની ઉદાસીનતા પણ નિહાળી ન શકી.

અચાનક કોઈએ એક પથ્થર ફેંક્યો ને જળમાં વમળ સર્જાયું ને તેમાં તેનું પ્રતિબિંબ ભૂંસાય ગયું. એવો જ કંઈક ઘા તેનાં દિલને પણ લાગ્યો હતો ને તેનાં જીવનમાં દુઃખનાં વમળો સર્જાયા હતાં. ઊંચા મોજા તેને હંમેશા ડરાવતા પરંતુ આજે તો આ તરંગો પણ તેને ડંખતા હતાં.

એટલામાં તેની સખીનો ફોન આવ્યો ને પુસ્તકનાં વેચાણમાં ધીમે ધીમે વધારો થવાનાં શુભ સમાચાર આપ્યા. તેનો આખો દ્રષ્ટિકોણ હવે બદલાય ગયો. એ હળવા વમળ તેને હવે બહું મનોહર જણાયા. એ તરંગોનું કંપન જાણે મનને મસાજ કરી પીડા હરવા લાગ્યું.

સ્થિરતા અને રેલછેલ વચ્ચેની પાણીની એ સમતોલ અવસ્થા તેને શ્રેષ્ઠ લાગી. એમ જ જીવનમાં પણ સુખ અને દુઃખ બંને આવે પરંતુ તેમાં જો આનંદિત રહેવું હોય તો વચ્ચે સમતોલન સાધી રહેતાં શીખવું જોઈએ. સુખમાં ઊછળવું નહીં ને દુઃખમાં ડૂબી ન જવું, એ સોહામણા વમળની જેમ નિરંતર તરતું રહેવું એ જ જીવન! તેને પોતાની કલમથી શાયરીરૂપી એક કરામત સર્જી.

ફેંકે નફરતનો કોઈ પથ્થર તો હું સ્નેહ તણું વમળ,
સમાજનાં વિચારો કાદવ તો હું તેમાં ખીલતું કમળ.

– ચાર્મી મજીઠીયા “ચારુ”


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly