‘ધ કેરલ સ્ટોરી’ને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 9 મેના રોજ સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું હતું કે- ‘The Kerala Story ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવશે.’ આના એક દિવસ પહેલાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. તો કેટલાક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મને લઈ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હવે ઈન્દ્રભારતી બાપુએ પણ મહિલાઓને આ ફિલ્મ ફ્રીમાં બતાવવા માટે પહેલ કરી છે.
કોડીનાર વિસ્તારની મહિલાઓને આ ફિલ્મ ફ્રીમાં બતાવવામાં આવશે. 13 મેના રોજ બપોરે 12 થી 3 આ ફિલ્મને ફ્રીમાં બતાવવાનું આયોજન રાખવામાં આવ્યું છે. ન્યુ એરા સિનેમા મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ બતાવવા માટે દરેક મહિલાઓ લાભ લઈ શકે છે. જો તમારે પણ સીટ બુકિંગ કરવાની હોય તો સામાજિક સદભાવના સમિતિ કોડીનારને સંપર્ક કરી શકો છો. બાકીની માહિતી નીચે આપેલા પોસ્ટરમાં આપ જોઈ શકો છો.
ફિલ્મ ‘ધ કેરાલ સ્ટોરી’ તેની સ્ટોરી અને દાવાઓને લઈને ચર્ચામાં છે. તેનું ટ્રેલર 26 એપ્રિલે રિલીઝ થયું હતું. આ ફિલ્મ 4 છોકરીઓના જીવન પર આધારિત છે. 2 મિનિટ 45 સેકન્ડનું ટ્રેલર બતાવે છે કે કેવી રીતે 4 કોલેજ જતી છોકરીઓ આતંકવાદી સંગઠનમાં જોડાય છે.
ટ્રેલરની શરૂઆત કેરળની એક હિંદુ છોકરી શાલિની ઉન્નીકૃષ્ણનના પરિચયથી થાય છે, જેમાં તે આતંકવાદી સંગઠન ISISમાં જોડાવાની આખી વાર્તા કહી રહી છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ગેંગ કેરળની છોકરીઓનું બ્રેઈનવોશ કરીને તેમનું ધર્મપરિવર્તન કરે છે અને પછી તેમને આતંકી સંગઠન ISISનો ભાગ બનાવે છે.
આ માટે ક્યારેક શારીરિક સંબંધ તો ક્યારેક ધાર્મિક માન્યતાઓનો ઉપયોગ સાધન તરીકે થાય છે. હવે એક તરફ ભાજપ આ ફિલ્મને આતંકવાદનો અસલી ચહેરો ઉજાગર કરનારી ફિલ્મ કહી રહી છે. તે જ સમયે, કોંગ્રેસ, ટીએમસી સહિત ઘણા વિપક્ષી દળોએ તેને પ્રોપેગેન્ડા મૂવી ગણાવી છે