ગુજરાતમાં હાલમાં બીજા તબક્કાનું મતદાન થયું, લોકોએ હોંશભેર મત આપ્યો અને પોતાના પસંદના ઉમેદવારને તાજ પહેરાવવા માટે કમર કસી છે. સરકારે પણ દાવા કર્યા છે કે દરેક મતદાન મથક પર દરેક લોકોને ખાસ સુવિધા મળે એનું આ વખતે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. દિવ્યાંગો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે અને બ્રેઈલ લિપીમાં પણ ત્યાં ફોર્મ આપવામાં આવ્યા છે. જો કે આજે બે કિસ્સા એવા સામે આવ્યા છે કે જેમાં આ દાવા પોકળ સાબિત થયા છે અને ચૂંટણી અધિકારીઓએ દિવ્યાંગોને અપમાનિત કર્યા છે.
પહેલા કિસ્સાની વાત કરીએ તો અમદાવાદના મતદાતા છે મોહમદ શમીમ અંસારી, કે જેમની ઉંમર 35 વર્ષની છે અને તેઓ છેલ્લા 8-10 વખતથી મતદાન કરતા આવ્યા છે. આ વખતે પણ મોહમદ ભાઈએ પોતાનો મતાધિકાર નિભાવવા માટે મત આપવાનું નક્કી કર્યું હતું. તેઓ મણીનગરમાં ભૈરવનાથ ઉર્દુ ગુજરાતી શાળા નં. 2માં પોતાનો મત આપવા માટે સવારે 10:30 વાગ્યે પહોંચી ગયા હતા. તો ત્યાંના અધિકારીઓએ પહેલા એમ કીધું કે ફોર્મ છે જ નહીં. પછી 30 મિનિટ બેસાડ્યો પછી ફોર્મ ભરવાનું કીધું. બહારથી ફોર્મ ભરવાનું કહ્યું. ખરેખર એ જ લોકોને ફોર્મ ભરવાનું કહ્યું હતું. પછી હું ઘરે આવી ગયો. 1950 નંબર પર ફરિયાદ કરી. તો ફોન પર મને કહેવામાં આવ્યું કે અમે વાત કરી લઈએ.
મોહમદ ભાઈ આગળ વાત કરે છે કે પછી 12:20 વાગ્યે હું ફરી ગયો, ફરી એની જ એ વાત કહી કે 10 મિનિટ બેસો. ફરી 1 વાગ્યે હું અંદર ગયો. પછી મોહમદ ભાઈએ લોકપત્રિકા ન્યૂઝમાં કોલ કરીને પોતાની વ્યથા જણાવી. જેથી લોકપત્રિકાએ તરત જ ત્યાં કોલ કરીને વાત કરવાનો પ્રયાસ કર્યો. ત્યાંના અધિકારીએ વાત તો કરી પણ નામ ન જણાવ્યું અને મોહમદ ભાઈને કહ્યું કે- તું તો અંધ છે, તું થોડો મતદાન કરી શકે. હવે તમે વિચારો કે ત્યાંના અધિકારીઓને એ જ નથી ખબર કે દિવ્યાંગો પણ મતદાન કરી શકે છે. પોતે આ બાબતમાં અજ્ઞાની છે અને ઉપરથી દિવ્યાંગોને અપમાનિત કરી રહ્યા છે.
બીજો કિસ્સો પણ અમદાવાદનો જ છે. દર્શિતાબેન બાબુભાઈ શાહ કે જેઓ ચાલવામાં અસમર્થ છે. તેઓ બ્લુ બેન શાળા, ચિમનભાઈ પટેલમા બંગલાની સામે, આંબાવાડી વિસ્તારમાં બપોરે 3 વાગ્યે મતદાન કરવા ગયા હતા, ત્યાં જોયું તો ચાલીને જવું પડે એમ હતું. પરંતુ કોઈ વ્હીલચેર નહોતી અને કોઈ સહાયક પણ નહોતા. સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દરેક મતદાન મથક પર વ્હીલચેરની સુવિધા આપવામાં આવી છે જેથી કરીને અપંગ લોકો પણ મતદાન કરી શકે. ત્યારબાદ દર્શિતા બેને ત્યાં હાજર કર્મચારીઓને વાત કરી તો એ લોકોએ એટલો જ જવાબ આપ્યો કે-અમારે ત્યાં સુવિધા આપવામાં આવી નથી. આ રીતે દર્શિતાબેન પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગયા હતા પણ સુવિધાના અભાવે કરી શક્યા નહી.