હાલમાં અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં ત્રણ મજૂરો દટાયા હતાં. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે જૂના જનક એપાર્ટમેન્ટનું રિડેવલપમેન્ટનું કામ ચાલતું હતું. ધર્મ ડેવલપર્સ નામના બિલ્ડર દ્વારા રિડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે બપોરે અચાનક ભેખડ ધસી પડતાં ત્રણ મજૂર દટાયા હતા. જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે બે શ્રમિકોનું કરૂણ મોત થયું છે.
વિગતે વાત કરીએ તો ડામોર જયસિંગભાઈ અને કરમી પટુભાઈ નામના દાહોદના બંને મજૂરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણમાંથી 2 મજૂરનાં મોત થયાં છે તેમજ એક મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે ફાયર વિભાગને સવારે 10 વાગ્યે ભેખડ ધસી પડવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે જ ફાયરબ્રિગેડની ટીમની 4 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતથી મજૂરોને બહાર કાઢ્યા હતા.