એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપશે તો તેમના સ્થાને દિનેશ કુંભાણી ખોડલધામના ચેરમેન બને તેવી શક્યતાઓ છે. કારણ કે હવે નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ એ વાત પાક્કી પાક્કી છે. તો વળી નરેશ પટેલના રાજકારણ પ્રવેશ મુદ્દે ખાસ સૂત્રો દ્વારા મોટી માહિતી મળી છે કે ખોડલધામના બંધારણમાં ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. નરેશ પટેલ માટે ખોડલધામના બંધારણમાં ફેરફાર થઈ શકે છે. નરેશ પટેલ રાજકારણ સાથે ખોડલધામના ચેરમેન પણ રહેશે. એવામાં હવે નરેશ પટેલના પુત્ર શિવરાનું નિવેદન બહાર આવ્યું છે.
શિવરાજે વાત કરી કે રાજકારણમાં જોડાવુ કે કેમ તે અંગે હાલમાં સર્વે ચાલુ છે. મોટાભાગના લોકો કહે છે કે નરેશ પટેલ રાજકારણથી દૂર રહે. જો કે આ અંગે દિનેશ કુંભાણી, રમેશ ટીલાળા સહિત સમૂહ મળીને સર્વે કરી રહ્યાં છે. સર્વે પૂરો થયા બાદ જ કહી શકાશે કે નરેશ પટેલને રાજકારણમાં જવું કે નહીં ? ખોડલધામની પોલિટિકલ કમિટી સર્વે કરી હોવાનો નરેશ પટેલના પુત્ર શિવરાજે દાવો કર્યો છે. ત્યારે હવે રાજકારણમાં પણ ખળભળાટ ચાલી રહ્યો છે કે આખરે નરેશ પટેલ જોડાશે કે કેમ અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે.
હાલમાં માહોલ જ એવો બંધાઈ ગયો છે કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને ચર્ચાઓ તેજ બની રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓ મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ હજી તો આ બધી અટકળો જ છે. નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી. આપ, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય પાર્ટીઓના સંપર્કમાં છે. આ ત્રણેય પાર્ટીઓ સાથે બેઠકો કરી રહ્યા છે પરંતુ કયા પક્ષમાં જોડાશે તેને લઇને હજુ કોઇ વાત સામે આવી નથી ત્યારે હવે દીકરાની આ વાતને લઈ ફરી એકવાર નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશને લઇને વધુ એક નિવેદન સામે આવ્યુ છે.