સફ્ફાન અન્સારી, પ્રિન્સી કળથીયા ( અમદાવાદ ): 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની અંતિમ તારીખ 7 ઓક્ટોબર 2023 હતી, જે પસાર થઈ ગઈ છે. જો કે, તમે હજુ પણ રૂ. 2,000ની નોટ બદલી શકો છો. કોઈપણ વ્યક્તિ RBIની પ્રાદેશિક કચેરીમાં રૂ. 2,000ની નોટ જમા કરાવી શકે છે. ત્યારે અમદાવાદમાં પણ ઈનકમ ટેક્સ નજીક આવેલી RBIની બ્રાન્ચમાં આ કામગીરી શરૂ છે. આજે સવારે બેંકની બહાર લાંબી લાઈન જોવા મળી હતી. લગભગ 300થી પણ વધારે લોકો ત્યાં 2000ની નોટ બદલવા માટે લાઈનમાં ઉભા હતા.
જોવા જેવી વાત એ હતી કે ઘણા લોકો રાતના 3 વાગ્યાના જ બેંક પાસે આવી ગયા હતા તો કોઈ સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા. આ દરેક લોકો એવા લોકો હતા કે જે રોજનું કમાઈને રોજનું ખાય છે. મજૂર વર્ગના આ લોકો કોઈ બાપુનગર, કોઈ શાહપુર તો કોઈ સોલા બાજુથી અહીં પોતાની પાસે રહેલી 2000 રૂપિયાની નોટ બદલવા આવ્યા હતા. એ લોકોનું કહેવું છે કે અમે રોજનું કમાઈને રોજ ખાઈએ છીએ. જ્યારે કોઈ પાસેથી 2000ની નોટ મળે તો અહીં બદલવા માટે આવીએ છીએ.
અહીં નોટ બદલવા માટે આવેલ લોકોમાંથી એક અલ્કા દણતાણી હતા કે જેઓ આમ મૂળ પાટણના છે. તેઓ રાતના 3 વાગ્યાથી પોતાના પરિવાર સાથે અહીં લાઈનમાં ઉભા છે. કારણ કે તેઓ જ્યાં રહે છે ત્યાં બાળકોને એકલા મુકીને લાઈનમાં ઉભુ રહેવું શક્ય નથી. એટલે એ રાતના 3 વાગ્યાથી જ અહીં આવીને સવાર પડવાની રાહ જોતા હતા કે જલ્દી તેમની 2000 રૂપિયાની નોટ બદલે અને કામ ધંધા પર જાય. જેથી તેમના પરિવારનું ગુજરાન ચાલી શકે.
એ જ રીતે પરમાર ગાભાભાઈ પણ સવારના 6 વાગ્યાથી અહીં ઉપસ્થિત છે અને લાઈનમાં રાહ જોઈ રહ્યા છે. તેઓ એકલા અહીં 2000ની નોટ બદલવા માટે બેંક ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ પણ રોજ મજૂરી કામ કરે છે. ત્યારે એમની પાસે પણ 2000ની નોટ બચી એ હવે બદલવા માટે આવ્યા છે.
જો કે સુત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે આ બધા મજૂરોને પોતાના સેઠ લોકો નોટ બદલવા માટે અહીં મોકલી રહ્યા છે અને એક 2000ની નોટ પર જેવા સેઠ એવું ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જ એ ખબર પડશે કે આ વાતમાં કેટલી તથ્યતા છે. અંદરના સુત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે 20,000 રૂપિયા બદલવા પર 2000 રૂપિયા મળે છે. આ રીતે એક માણસ એક દિવસની 2000ની કમાણી કરે છે. આ રીતે રોજ રાતથી જ અહીં લાઈનો લાગતી હોવાનું પણ સુત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે પહેલાથી જ તે વિભાગોની યાદી બહાર પાડી હતી જ્યાં તમે આ નોટો બદલી અથવા જમા કરી શકો છો. RBIના 30 સપ્ટેમ્બરના નોટિફિકેશન મુજબ, 7 ઓક્ટોબર પછી પણ આ 19 પ્રાદેશિક કાર્યાલયોમાં રૂ. 2,000ની નોટો બદલી શકાશે. હવે સામાન્ય લોકો રૂ. 2,000ની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે બીજી બેન્કોમાં જઈ શકતા નથી.