વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાત મુલાકાતે છે. જામનગર બાદ આજે હવે વડાપ્રધાન અમદાવાદ પહોચવાના છે અને અહી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે . આ આરોગ્ય સુવિધાઓ 712 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. વડાપ્રધાનના સ્વાગત માટે સમગ્ર સિવિલ હોસ્પિટલને અંદર અને બહારથી દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. છેક ટ્રોમાં સેન્ટરથી લઈને સમગ્ર સિવિલને અલગ અલગ પ્રકારની અને અલગ અલગ કલરની લાઈટોથી શણગારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આજે PM મોદીનો યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં 71 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે જેમા ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત 10 માળની આ હોસ્ટેલમાં 2 બેઝમેન્ટ, 176 રૂમ અને સેન્ટ્રલ લાયબ્રેરી વિથ મ્યુઝિયમની સુવિધા છે. આ સાથે હૃદયની સારવાર માટે 54 કરોડ રૂપિયાના આધુનિક મશીન , અસારવાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસ એન્ડ રિસર્ચ સેન્ટરની 408 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નવી હોસ્પિટલ બિલ્ડિંગ, મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’, ગરીબ દર્દીઓના પરિવારજનો માટે 39 કરોડના ખર્ચે રેનબસેરાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ છે.
હવે અહી હૃદયની અદ્યતન સારવાર વિશ્વસ્તરીય સુવિધાઓ મળશે જેમા હૃદય અને ફેફસાનાં પ્રત્યારોપણ માટેનું કેન્દ્ર, કૃત્રિમ હૃદય અને ફેફસાં તરીકે કામ કરતું મોબાઇલ ઇસીએમઓ, વીએડી, સીઆરઆરટી મશીનનો સમાવેશ થાય છે. આ સિવાય હૃદયની સર્જરીની તાલીમ લેતા તબીબો માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન કાર્ડીયાક કેથ લેબ, રોબોટિક કાર્ડિયાક સર્જરી સિસ્ટમ, મિનિમલ ઇન્વેસિવ કાર્ડિયાક સર્જરી, ટેલી આઈ.સી.સી.યુ. કુલ 150 ક્રિટિકલ કાર્ડિયાક બેડની સુવિધા તૈયાર કરવામા આવી છે.
આ સિવાય કોરોનરી ગ્રાફ્ટ –ફ્લોર મેઝરમેન્ટ મીટર, આર.એફ. એબ્લેશન મશીન, હોમોગ્રાફ વાલ્વ બેન્ક, મધર મિલ્ક બેન્ક, સ્લીપ લેબ, કાર્ડિયાક રિહેબિલિટેશન સેન્ટર, અપ ટુ ડે સોફ્ટવેર, 3 ટેસ્લા કાર્ડિયાક એમઆરઆઇ મશીન, બ્લડ સેન્ટર અને 3ડી/4ડી કાર્ડિયાક ઇકો મશીન વગેરે સુવિધાઓનું આજે વડાપ્રધાન મોદી લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ માત્ર ગુજરાત જ નહી પણ સમગ્ર એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે જેથી અહી સતત દર્દીઓનો ઘસારો રહેતો હોય છે. આ બાબત્ને ધ્યાનમા રાખી દર્દીઓનૂ સાથે સાથે તેમના પરિવારજનોને પણ કોઈ હેરાનગતી ન થાય તે માટે રેનબસેરા તૈયાર કરવામા આવી રહ્યુ છે જેનુ આજે પીએમ મોદી ખાતમુહૂર્ત કરશે. રેનબસેરા 39 કરોડના ખર્ચે 5800 ચોરસમીટર વિસ્તારમાં નિર્માણ થવા જઈ રહ્યુ છે.
મળતી માહિતી મુજબ આજે વડાપ્રધાન મોદી GCRI અને IKDRCની નવા બિલ્ડિંગનું લોકાર્પણ પણ કરવાના છે. અસારવામાં 408 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં 850 બેડની સુવિધા તૈયાર કરવામા આવી છે જેથી લોકોને કોઈ હેરાંનગતી ન રહે. 22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 આઇસીયુ, આધુનિક લેબોરેટરી અને એકસાથે 62 ડાયાલિસિસ પણ હવે અહી જ થઈ શકશે. આ સિવાય મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ કરવામાં આવશે.