Ahmedabad News: હાઈકોર્ટ, AMC અને માલધારી…. આ 3 વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિવાદ ચાલી રહ્યો છે અને હવે આ વિવાદ આંદોલન તરફ ઝૂકતો જોવા મળી રહ્યો છે. કારણ કે ગુજરાતમાં ફરી એકવાર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. આવતી કતાલથી એટલે કે 24 નવેમ્બરથી માલધારીઓ આંદોલન પર ઉતરી રહ્યા છે. અમદાવાદ ખાતે 2000 કરતાં માલધારી ભેગા થવાના છે એવા સમાચાર સામે આવી રહ્યા છે.
માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી રબારીએ આજે એક વીડિયો શેર કર્યો છે અને એમાં ખુબ મહત્વનો એજન્ડા પણ કહ્યો છે. હવે આ વીડિયો બાદ રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે, માલધારી સમાજની લડત ચાલુ થવાની છે તેમાં આ લડત રખડતા પશુઓની નથી. નિર્દોષ લોકોનો અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતા હોય તેની નથી. પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે, જેમને ડબ્બામાં પૂરવા જરૂરી છે, તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે. આ વીડિયો બાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે, કે આખરે આ કોની વાત થઈ રહી છે અને સરકારની કઈ નીતિ બેધારી હોવાની વાત કહેવામા આવી રહી છે.
વિગતો મળી રહી છે કે અમદાવાદના બાપુનગરના ભીડભંજન મંદિરે મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો એકઠા થાય એવી શક્યતા છે. રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગોચરને લઈને માલધારી સમાજમાં ભારે રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ પોલીસી જાહેર કરી હતી. જે બાદ શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં વૃદ્ધને હાર્ટ અટેક આવતા વિવાદ સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, પશુ પકડવાની ટીમ પહોંચતા વૃદ્ધને હાર્ટ અટેક આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે ઢોર પકડો પાર્ટીના ગેરવર્તન અને મારના લીધે જામાભાઈ રબારીને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યારે હવે કાલે જોવાનું રહ્યું કે માલધારી સમાજ ભેગા થઈને કઈ આખલાની અને કઈ બેધારી નિતીની વાત કરી રહ્યાં છે.