Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી ‘વન સેતુ ચેતના યાત્રા’નો નવસારી જિલ્લાના વાંસદાથી ભવ્ય શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વન બંધુ વિશ્વબંધુ બને એ માટે રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજના-2.0 હેઠળ 2023-24ના વર્ષમાં 47,000 કરોડની જોગવાઈ કરી છે.
આદિજાતિઓના વિકાસની નવી પરિભાષા અંકિત કરવાના ધ્યેય સાથે નવસારી, ડાંગ, અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં કામગીરી આરંભી છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓએ આ અભિયાન રૂપે ઉનાઈ માતા મંદિર પરિસરની સાફ-સફાઈ કરી હતી. તેમણે ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.1.76 કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.
મુખ્યમંત્રીએ વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત વન વિભાગની વિવિધ યોજનાકીય લાભો, સહાયના ચેકોનું વિતરણ આ યાત્રા પ્રારંભે કર્યું હતું. તા.૧૮ થી ૨૨ જાન્યુ. સુધીની પ દિવસની આ વન સેતુ ચેતના યાત્રા ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ ૧૩ જિલ્લાના ૫૧ તાલુકાઓમાંથી પસાર થઈને ત્રણ લાખ આદિવાસી ભાઈઓ-બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ, વિકાસકાર્યોની ઝાંખી કરાવશે.
વન સેતુ ચેતના યાત્રામાં ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા બે દાયકાથી મળી રહ્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટામાં વસતા રાજ્યના અભિન્ન અંગ સમાન આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ દ્વારા વિકાસની મુખ્યધારામાં લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે.
મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો અને શબરી ધામ આદિવાસી અસ્મિતાના પ્રતિક હોવાનું જણાવી કહ્યું કે, શ્રી રામના પાવન પગલાં જે ભૂમિ પર પડ્યા એ ગુજરાતની ભૂમિ પર આપણને વિકસવા અને વસવા મળ્યું એ આપણું સૌભાગ્ય છે.
આ પ્રસંગે આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સાંસદ સર્વ પ્રભુભાઈ વસાવા, ડૉ. કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ, દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય સર્વ અરવિંદ પટેલ, ભરત પટેલ, ગણપતસિંહ વસાવા, સંદીપ દેસાઈ, નરેશ પટેલ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ વડા સુશીલ અગવાલ, દક્ષિણ ગુજરાત વનવિભાગના વરિષ્ઠ અધિકારીઓ સર્વ પુનિત નૈયર, આનંદ કુમાર, ડૉ. કે. શશી કુમાર, એસ. મનિશ્વર રાજા સહિત મોટી સંખ્યામાં આદિજાતિ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા