ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ વિકટ સ્થિતિ ઉભી થઈ છે. આગામી દિવસો ફરી એકવાર દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ અને રાજ્યના અન્ય ભાગોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરવાના છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો સામાન્યથી ભારે વરસાદ રહી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદની કોઈ આગાહી નથી.
રાજ્યમાં ત્રણ દિવસ પછી વરસાદનું જાેર ઘટશે તેવું રાજ્યના હવામાન વિભાગના વડા મનોરમા મોહંતી જણાવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ૨૩થી ૨૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રને છોડીને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ૨૩, ૨૪ અને ૨૫ જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં અતિભારે વરસાદ ખાસ કરીને ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં થઈ શકે છે. આ સાથે તેમણે અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લીમાં પણ આ તારીખો દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
અમદાવાદમાં સામાન્ય હળવો વરસાદ રહેવાની આગાહી છે પરંતુ કેટલાક ભાગમાં ૨૩ અને ૨૪ તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ૨૪ તારીખે અતિથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં કચ્છ સાથે જાેડાયેલા ભાગોમાં વરસાદ થઈ શકે છે. જ્યારે બાકીના ભાગોમાં છૂટો છવાયો સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહી સાથે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે જેમાં ૨૪ અને ૨૫ તારીખ દરમિયાન ઉત્તરપશ્ચિમના ગુજરાત સાથે જાેડાયેલા અરબી સમુદ્રમાં ના જવાની સૂચના અપાઈ છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો ૬૨ ટકા વધુ વરસાદ થઈ ગયો છે. સમગ્ર રાજ્યમાં ૪૬૪ મિલી મીટર (૧૮.૨૬ ઈંચ) વરસાદ અત્યાર સુધીમાં થયો હોવાનું મનોરમા મોહંતીએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે ૨૮૫ મિલી મીટર (૧૧.૨૨ ઈંચ) વરસાદ થવો જાેઈએ તેની સામે વધુ વરસાદ નોંધાયો છે.