જેતલસરની સૃષ્ટિ રૈયાણીના એકતરફી પ્રેમમાં પાગલ આરોપી જયેશે છરીના 36 ઘા ઝીંકી બેરહેમીથી તેની હત્યા કરી હતી. ત્યારે 727 દિવસ બાદ આજે આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેસન્સ કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી છે. આ ઉપરાંત સગીરાના ભાઈ પર ઘાતકી હુમલો કર્યાના બનાવમાં હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરી 10 વર્ષ સજા અને 5000 દંડ ફટકારવામાં આવ્યો છે.ચુકાદા બાદ ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો છે, જેતપુરની અંદર આ પ્રથમ વખત આવી સજાનો રેકોર્ડ થયો છે. આ કેસ ગંભીર હતો અને અમાનુષી કૃત્ય હતું. નામદાર કોર્ટે પૂરું જસ્ટીસ કર્યું છે, આ કેસની અંદર આઇપીસી કલમ 302માં આરોપીને ફાંસીની સજા અને 5 હજારનો દંડ કર્યો છે. આઇપીસી કલમ 307માં 10 વર્ષની કેદ અને 5 હજારનો દંડ કર્યો છે. આઇપીસી કલમ 349માં 5 વર્ષની કેદ અને અઢી હજારનો દંડ કર્યો છે. પોક્સોમાં 5 વર્ષની કેદ અને અઢી હજારનો દંડ કરવામાં આવ્યો છે. અમે 50 સેશન્સ કેસમાં મહેનત કરી હોય એટલી એક કેસમાં કરી છે. મેં અને મારા દીકરાએ ફરિયાદી પક્ષ તરફથી એક પણ રૂપિયો લીધો નથી. નામદાર કોર્ટે આને રેરસ્ટ ઓફ રેરસ્ટ કેસ માન્યો છે.
આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેસન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારતા કોર્ટ રૂમની બહાર માતા-પિતાની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. સૃષ્ટિના પિતા કિશોરભાઈએ જણાવ્યું હતું કે, બે વર્ષથી માનસિક ત્રાસમાં ગુજર્યો છું, મારી દીકરીના હત્યારાને સમયસર સજા મળી ગઈ હોત તો સુરતમાં ગ્રીષ્માનું મર્ડર થયું હતું તે કદાચ ન થાત. આજે ગ્રીષ્મા હયાત હોત એવું મારું માનવું છે. માતા શીતલબેને જણાવ્યું હતું કે, મારી દીકરીને આજે ન્યાય મળ્યો છે, આથી હું બધાનો આભાર માનું છું. અમારી એ જ માગ હતી કે, આરોપીને ફાંસીની સજા મળે અને મારી દીકરીની આત્માને શાંતિ મળે.નોંધનીય છે કે, કેસની સુનાવણી દરમિયાન સૃષ્ટિના પરિવારજનો કોર્ટ સંકુલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને કહ્યું હતું કે, ‘આને ફાંસી આપો’ જયારે બપોરે 12 વાગ્યાના સમયે જેતપુર સેસન્સ કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રીક ન્યાયાધીશ આર.આર. ચૌધરીએ આરોપી જયેશ સરવૈયાને કોર્ટ રૂમમાં બોલાવ્યો હતો અને તે કેટલું ભણેલો છે, શું કામ કરતો હતો અને પિતા શું કામ કરે છે સહિતના અલગ અલગ સવાલો પૂછ્યા હતા.
1 વર્ષ, 11 મહિના અને 25 દિવસ એટલેકે 727 દિવસ પહેલા જેતલસર ગામે રહેતો જયેશ ગિરધરભાઈ સરવૈયા નામનો યુવાન ગામની સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી નામની તરુણીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. જેથી તેને પામવા માટે વારંવાર પ્રયાસો કરતો હતો. સૃષ્ટિ ધોરણ 11માં જેતપુરમાં અભ્યાસ કરતી હતી. ત્યાં તે તેની પાછળ પાછળ જતો હતો. એમાં 16 માર્ચ 2021ના રોજ તરુણીના પિતા કિશોરભાઈ અને માતા શીતલબેન ખેતમજૂરીએ ગયા હતા ત્યારે બપોરના સમયે મોકો જોઈ ઘરમાં ઘૂસી તરુણીને લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ તરુણીએ જયેશને તાબે થઈ ન હતી. ઉશ્કેરાઈ ગયેલા જયેશે તરૂણીને પ્રથમ ઢોર માર માર્યો હતો. તેમ છતાં તે એકની બે ન થઈ અને લગ્ન માટે ના જ પાડતી રહી. અંતે, ‘મારી નહિ તો કોઈની નહિ’ એવા આશય સાથે શેતાન બની ગયેલા જયેશે પડઘામાંથી છરી કાઢી એક નહિ, બે નહિ, પરંતુ 32 જેટલા ઘા મારી આખી વીંધી નાખી હતી. આ દરમિયાન ઘરમાં હાજર સગીર ભાઈ હર્ષ બહેનને લોહીલુહાણ હાલતમાં કણસતી જોતા બચાવવા વચ્ચે પડ્યો હતો. પરંતુ જેના પર શેતાન સવાર થયો હતો તે જયેશે હર્ષને પણ છરીના ઘા માર્યા હતા.
શરમજનક! માતાજીના મેળામાં આવેલી નૃત્યાંગનાઓથી એઇડ્સ બીજામાં ન ફેલાય એટલે દરેકનો HIV ટેસ્ટ કરાવ્યો
ગંભીર ઇજાથી તડપતી બહેન ભાઈને બચાવવા વચ્ચે પડતાં જયેશે સૃષ્ટિને વધુ ચાર છરીના ઘા મારી દેતાં તેને છરીના કુલ 36 ઘા લાગ્યા હોવાથી ત્યાં જ ઢળી પડી હતી.નાના એવા ગામમાં બપોરના સમયે ખૂની ખેલ ખેલાતાં થોડીવારમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને સૃષ્ટિનાં માતાપિતાને પણ જાણ કરાતા તેઓ તુરંત જ ઘરે પહોંચતાં સૃષ્ટિ નિર્જીવ બની ચૂકી હતી. જ્યારે હર્ષ લોહી નીતરતી હાલતમાં કણસતો હોવાથી સૃષ્ટિને પીએમ માટે અને હર્ષને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયાં હતાં. હર્ષને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ બાદ આરોપી જયેશ ઝડપાય જતાં પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કર્યો હતો.આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી અને તેના વડા તરીકે તત્કાલીન એલસીબી પીઆઇ અજયસિંહ ગોહિલ, જેતપુર તાલુકા પીએસઆઈ પીજે બાંટવા, ધોરાજીનાં મહિલા પીએસઆઇ કદાવલા, એલસીબીના રાઇટર રસિકભાઈ જમોડ, જેતપુર તાલુકા પોલીસના રાઇટર વિજયસિંહ જાડેજા, ગોંડલ સિટીના હરેન્દ્રસિંહ, ઉપલેટા સિટી પોલીસના રાઇટર ભાવેશભાઈ અને મહિલા કોન્સ્ટેબલ રાધિકાબેન અને સરકાર તરફથી કેસ લડવા સ્પેશિયલ સરકારી વકીલ તરીકે જનકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.