વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ રવિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પડકારને નકારી કાઢતા કહ્યું હતું કે રાજ્યમાં માત્ર બે રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ છે અને ત્રીજો પક્ષ અહી ક્યારેય ટકી શકયો નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસ હવે રાજ્યમાં “શૂન્ય” છે અને ભાજપ “પૂરી તાકાત સાથે આવી છે”. પ્રહલાદ મોદી ભાજપના નેતા સુમિત સિંહના આમંત્રણ પર બારાબંકી પહોંચ્યા હતા.
તેમનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે પત્રકારોએ તેમને ગુજરાત ચૂંટણીમાં જોરદાર પ્રચાર શરૂ કરનાર આમ આદમી પાર્ટીની સંભાવનાઓ વિશે પૂછ્યું. ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન પૂર્ણ થયું હતું.
પ્રહલાદ મોદીએ કહ્યું કે સુમિત સિંહ સાથે તેમના પારિવારિક સંબંધો છે અને તેઓ તેમના આમંત્રણ પર જ અહીં આવ્યા છે, તેમની મુલાકાતનું બીજું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે દેશની જનતાને તેમની પસંદગીના વડાપ્રધાન મળ્યા છે અને 2024માં પણ ભાજપ ફરી સરકાર બનાવશે. તેઓ રવિવારે અયોધ્યા પણ પહોંચ્યા હતા.
અહીં સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા પ્રહલાદ મોદીએ કહ્યું કે તેઓ ભગવાન શ્રી રામને પ્રાર્થના કરવા આવ્યા છે કે ભારત વિશ્વગુરુના પદ પર વહેલી તકે સ્થાપિત થાય. તેમણે કહ્યું, ‘અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પુરી તાકાતથી કામ કરી રહ્યા છે, પરંતુ તેમને સફળતા મળી રહી નથી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ આમ આદમી પાર્ટીએ લડી છે.
આગળ વાત કરતા તેમણે કહ્યુ કે મીડિયા પણ કહેતું હતું કે નગરપાલિકાની ચૂંટણીમાં તેને સફળતા મળશે પરંતુ ગુજરાતનો મતદાર એટલો મૂર્ખ નથી કે તે રેવડી બજારમાં ફસાઈ જાય.’ તેમણે રામલલાના દરબારમાં હાજરી આપી રામ મંદિરનું નિર્માણ કાર્ય જોયું. તેમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણની પ્રગતિ વિશે માહિતી આપી છે.