ગુજરાતમાં ચારેતરફ મતદાનની આંધી વચ્ચે વાત કરીએ નર્મદા જિલ્લામાં આવેલા આદિવાસી અનામત બે બેઠકોની તો ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.
જો કે ડેડીયાપાડા મતવિસ્તારમાં આવતા સમોટ ગ્રામજનોએ પોતાની વાત પર નારાજરી વ્યક્ત કરી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ગામના મતદાન કેન્દ્ર પર અત્યાર સુધીમાં એક પણ મત પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે આ ગામમાં 1600 જેટલા મતદારો છે. જો કે તંત્રએ આવીને સમજાવવાની પણ કોશિશ કરી હતી. જો કે ગ્રામજનો એકના બે ન થયા અને હજુ એક પણ મત નથી જ પડ્યો.
તો વળી ગીર સોમનાથ જિલ્લામાં સીદી સમાજના મતદારોએ મતદાન કર્યું હતું. વર્ષો પહેલા સીદી સમુદાયના વડવાઓ ભારત આવ્યા હતા, ત્યારથી આ સમુદાય ગીર સોમનાથમાં હાજરી ધરાવે છે. કહેવાય છે કે 17મી સદીમાં તેમના પૂર્વજો તત્કાલીન નવાબ પાસે આવ્યા હતા.
ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડનાર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પાઘડી પહેરીને મતદાન કરવા આવ્યા હતા. વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. જ્યારે તે બહાર આવી રહ્યા હતા ત્યારે તેણે હાથ જોડીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. 2012થી સતત આ સીટ જીતી રહેલા જીતુ વાઘાણી આ વખતે કોંગ્રેસ અને AAP સામે લડી રહ્યા છે. કોંગ્રેસે જીતુ વાઘાણી સામે કિશોરસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ તેના નવા મોટા ચહેરા રાજુ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. 2017માં જીતુ વાઘાણી 27,185 મતોથી ચૂંટણી જીત્યા હતા, પરંતુ આ પછી ભાવનગર પશ્ચિમ બેઠક પર મુકાબલો કપરો હોવાનું માનવામાં આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા.